નવીદિલ્હી
એક બાજુ જ્યાં દેશ આઝાદીના ૭૫ વર્ષ પૂરા થયાના અવસરે અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આજે ૭૬મો સ્વતંત્રતા દિવસ ઉજવાઈ રહ્યો છે, આખા દેશમાં ઉજવણીનો માહોલ છે ત્યારે આ બધા વચ્ચે સરકારના વિરોધમાં કોંગ્રેસે તીસ જનવરી માર્ગ સુધી પગપાળા માર્ચ કાઢી. આ અવસરે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પાર્ટીથી મોટો દેશ છે આથી પીએમ પર ટિપ્પણી નહીં કરું. કોંગ્રેસની પગપાળા માર્ચમાં પ્રિયંકા ગાંધી ઉપરાંત રાહુલ ગાંધી પણ સામેલ થયા. સ્વતંત્રતા દિવસ પર કોંગ્રેસ નેતાઓએ ગાંધી સ્મૃતિમાં પાર્ટીના સભ્યો તરીકે દેશની સેવા કરવા અને રાષ્ટ્રની એક્તાની દિશામાં કામ કરવાના સંકલ્પ લીધા. કોંગ્રેસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભ્રષ્ટાચાર અને પરિવારવાદ વિરુદ્ધ નિર્ણાયક લડતનું આહ્વાન કરાયા બાદ સોમવારે તેમના પર નિશાન સાધ્યું. કોંગ્રેસે દાવો કર્યો કે મોદીએ પોતાના જ મંત્રીઓ અને તેમના પુત્રો પર હુમલા કર્યા જે સ્વતંત્રતા દિવસના અવસરે શોભા દેતા નથી. પાર્ટીના મીડિયા અને પ્રચાર પ્રમુખ પવન ખેડાએ એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી પાસે લોકો આજે આઠ વર્ષના રિપોર્ટકાર્ડની આશા રાખીને બેઠા હતા પરંતુ તેમના સંબોધનથી નિરાશા સાંપડી. ખેડાએ કહ્યું કે આજનો દિવસ રાજકીય વાતો કરવાનો નથી, પરંતુ કેટલીક પરંપરાઓ બદલવામાં આવી રહી છે અને આમ કરનારા પ્રધાનમંત્રી પોતે જ છે. છેલ્લા આઠ વર્ષથી પ્રધાનમંત્રી પોતાના જ શબ્દોના શિકાર થઈ રહ્યા છે અને તેઓ ખુબ થાકેલા જાેવા મળી રહ્યા હતા. પવન ખેડાએ દાવો કરતા કહ્યું કે પ્રધાનમંત્રીની વાતો અને શબ્દો થાકેલા હતા. કોઈ ભાવ નથી, હ્રદયમાં કોઈ જુસ્સો કે જૂનૂન નથી. કારણ કે તેમણે જે વચનો આપ્યા હતા તે તેમને પોતાને સતાવતા હશે. ખેડાએ સવાલ કર્યો કે ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો ક્યાં ગયો? બધાને ઘર આપવાનો વાયદો ક્યાં ગયો? કાળું નાણું પાછું લાવવાનો વાયદો ક્યાં ગયો? રોજગાર અને ૧૫ લાખ રૂપિયા આપવાનો વાયદો ક્યાં ગયો?


