નવીદિલ્હી
દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડર અક્ષર પટેલે રવિવારે કહ્યું કે તેમની ફ્રેન્ચાઈઝીએ કુલદીપ યાદવને ટીમમાં તેના સ્થાનને લઈને સુરક્ષાની ભાવના આપી. જેના કારણે આ ભારતીય રિસ્ટ સ્પિનરે આઇપીએલ ૨૦૨૨માં ટીમની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. કુલદીપ યાદવે, જે તેની ભૂતપૂર્વ ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સ માટે છેલ્લી બે સિઝનમાં મોટાભાગની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર હતો, તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે ૧૮ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. દિલ્હી કેપિટલ્સની જીતમાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. કુલદીપ યાદવ લાંબા સમયથી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ હતો. પરંતુ સુનીલ નરેન પછી ટીમમાં વરુણ ચક્રવર્તીના ઉદય બાદ કુલદીપ હાંસિયામાં ધકેલાઈ ગયો હતો. આ દરમિયાન તેનું ફોર્મ પણ બગડ્યું જ્યારે ફિટનેસમાં પણ સમસ્યા આવી. પરિણામે તેને સતત રમવાની તક મળી ન હતી. તે ભારતીય ટીમમાં પણ રહ્યો પરંતુ રમી શક્યો નહીં. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે અક્ષરને કુલદીપના પ્રદર્શન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, આ બધું માનસિકતા વિશે છે. કેકેઆર ટીમમાં તેનું સ્થાન સુરક્ષિત ન હોવાથી તે આઇપીએલ માં સંઘર્ષ કરી રહ્યો હતો. તેને ખાતરી નહોતી કે તે તેની તમામ મેચ રમશે. તેને હવે લાગે છે કે અહીં આવ્યા બાદ મેચ રમવાની ખાતરી છે. જાે તમને ખબર હોય કે તમારી પાસે સુરક્ષિત સ્થાન છે, અને બે મેચમાં ખરાબ પ્રદર્શન પછી તમે બહાર ન થાઓ તો તમે તમારું શ્રેષ્ઠ આપી શકો છો. કેકેઆર માટે સરેરાશ પ્રદર્શન કરનાર કુલદીપે મધ્ય ઓવરોમાં રોહિત શર્મા અને કિરોન પોલાર્ડ જેવી મહત્વની વિકેટ લીધી હતી. દિલ્હીની ચાર વિકેટની જીત બાદ અક્ષરે કહ્યું, જે રીતે કોચ રિકી પોન્ટિંગ અને કેપ્ટનએ તેને ટેકો આપ્યો, તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો. પ્રેક્ટિસ દરમિયાન પણ અમે તેને કહીએ છીએ કે તું સારું કરી શકે છે. તે તમામ મેચ રમશે તેવો તેનો વિચાર બદલાઈ ગયો છે. ૧૭૮ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી ૧૪મી ઓવરમાં છ વિકેટે ૧૦૪ રન પર સંઘર્ષ કરી રહી હતી પરંતુ લલિત યાદવ (૩૮ બોલમાં અણનમ ૪૮, ચાર ચોગ્ગા, બે છગ્ગા) અને અક્ષર (૧૭ બોલમાં અણનમ ૩૮, બે છગ્ગા) અને અક્ષર ( ૧૭ બોલમાં અણનમ ૩૮) ચોગ્ગા, ત્રણ છગ્ગા) સાથે ૭૫ રનની અતૂટ ભાગીદારી કરીને તેની ટીમનો સ્કોર ૧૮.૨ ઓવરમાં ૧૭૯ રન સુધી પહોંચાડ્યો હતો.
