નવીદિલ્હી
દિલ્હી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનને કોર્ટે ૯ જૂન સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા છે. મહત્વનું છે કે ઈડીએ મની લોન્ડ્રિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે તેમને રાઉઝ એવેન્યૂ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઈડી તરફથી કોર્ટમાં રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યુ કે, અમારી પાસે ડેટા એન્ટ્રી છે કે કઈ રીતે હવાલામાં પૈસા લગાવવામાં આવ્યા, પૈસા મોકલવામાં આવ્યા છે. ઈડીએ જૈનની ૧૪ દિવસની કસ્ટડીની માંગ કરી હતી. આ પહેલાં ઈડીએ સત્યેન્દ્ર જૈનની કેટલીક કલાકોની પૂછપરછ બાદ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમો હેઠળ ધરપકડ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે મંત્રી જવાબ આપવામાં ગોળગોળ વાતો કરી રહ્યાં છે. સત્યેન્દ્ર જૈન કેજરીવાલ સરકારમાં સ્વાસ્થ્ય, ઉદ્યોગ, વીજળી, ગૃહ, શહેરી વિકાસ અને જળ મંત્રી છે. તપાસ એજન્સીએ પાછલા મહિને કહ્યું હતું કે જૈનના પરિવાર અને જૈન સાથે સંબંધિત કંપનીઓની ૪.૮૧ કરોડ રૂપિયાની સંપત્તિ તેમની વિરુદ્ધ એક મની લોન્ડ્રિંગ હેઠળ તપાસ હેઠળ અસ્થાયી રૂપે અટેચ કરી લેવામાં આવી છે. ત્યારે ઈડીએ કહ્યું હતું કે ૪.૮૧ કરોડ રૂપિયાના મૂલ્યની અચલ સંપત્તિઓ અકિંચન ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ, ઈન્ડો મેટલ ઇંપેક્સ પ્રાઇવેટ લિમિટેડ, પર્યાસ ઇન્ફોસોલ્યૂશન્સ પ્રાઇવેટ લિમિટેડ, મંગલાયતન પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, જેજે આઇડિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટે, વૈભવ જૈનની પત્ની સ્વાતી જૈન, અજીત પ્રસાદ જૈનની પત્ની સુશીલા જૈન અને સુનીલ જૈનની પત્ની ઇંદુ જૈન સાથે સંબંધિત છે .
