નવીદિલ્હી
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બાદ મંકીપોક્સ વાયરસે દરેક દેશની સરકારની ઉંઘ હરામ કરી નાંખી છે. સદ્દનસીબે ભારતમાં મંકીપોક્સ વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ દેશમાં તેના જેવી જ એક બિમારી ફેલાઈ છે. દક્ષિણ કેરળમાં મંકીપોક્સ જેવી જ એક નવી બિમારીએ એન્ટ્રી કરી છે. કેરળમાં બાળકોમાં એક ખાસ પ્રકારનો તાવના લક્ષણો જાેવા મળ્યા છે. વિશેષજ્ઞોએ આ ખાસ પ્રકારના તાવને ‘ટોમેટો ફ્લૂ’ નું નામ આપ્યું છે. આ શંકાસ્પદ તાવ કેરળમાં અત્યાર સુધી ૮૦થી વધુ બાળકોને પોતાની ઝપેટમાં લઈ ચૂક્યો છે. ‘ટોમેટો ફ્લૂ’ ના તાવથી ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો બિમાર પડી રહ્યા છે. તેની સારવારની કોઈ વિશેષ દવા હાલ આપણી પાસે ઉપલબ્ધ નથી. આ શંકાસ્પદ તાવ વિશે મળતી માહિતી પ્રમાણે, આ બીજી વાયરલ બિમારીઓની જેમ જ ઝડપથી ફેલાતો તાવ છે. વિશેષજ્ઞોનું માનીએ તો આ એક પ્રકારનો વાયરલ ફ્લૂ છે, જે સૌથી વધુ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોતાનો સરળતાથી નિશાન બનાવે છે. આ ફ્લૂના લક્ષણો વિશે વાત કરીએ તો, ફ્લૂની ઝપેટમાં આવનાર બાળકની ચામડી પર ફોલ્લીઓ, બળતરા અને ડિહાઇડ્રેશનનો સમાવેશ થાય છે. ફ્લૂના અન્ય લક્ષણોમાં થાક, સાંધામાં દુખાવો, પેટમાં ખેંચાણ, ઉલટી, ઝાડા, ઉધરસ, છીંક આવવી, વહેતું નાક, ખૂબ તાવનો સમાવેશ થાય છે. જ્યારે, કેટલાક કિસ્સાઓમાં દર્દીના પગ અને હાથની ચામડીનો રંગ પણ બદલાઈ શકે છે. અત્યાર સુધી આ શંકાસ્પદ તાવ વિશે વધુ માહિતી મળી શકી નથી. પરંતુ તેના પર રિસર્ચ ચાલું છે. અત્યાર સુધી આ ફ્લૂને લઈને જે જાણકારી સામે આવી છે તેના મતે, સૌથી વધુ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તેની ઝપેટમાં લઈ રહ્યો છે. આ એક સંક્રામક ફ્લૂ છે. જે પાણી, લાળ, મળ અને ફોલ્લાના પ્રવાહીના સીધા સંપર્ક દ્વારા ફેલાય છે. ડોક્ટરોના મતે, ટોમેટો ફ્લૂ એક પ્રકારનો સેલ્ફ લિમિટિંગ ફ્લૂ છે, જેનો અર્થ એવો થાય છે કે જાે સમય રહેતા દર્દીની યોગ્ય દેખભાળ કરવામાં આવે તો તેના લક્ષણો પર કાબૂ મેળવી શકાય છે. તેના માટે સૌથી જરૂરી છે કે બાળકોને ર્હાઈડ્રેટેડ રાખવામાં આવે. તેના સિવાય સંક્રમિત બાળકોને ગરમ કરેલું સ્વસ્થ પાણી પીવડાવો, બાળકોને ફોલ્લાઓ અથવા ફોલ્લીઓ પર ખંજવાળતા રોકવા જાેઈએ. ઘર અને બાળકોની આસપાસ સાફ સફાઈ રાખો. ગરમ પાણીથી બાળકોને નવડાવો. સંક્રમિત બાળકોથી યોગ્ય અંતર બનાવીને રાખો. જાે વધુ મુશ્કેલી પડતી હોય તો ડોક્ટરનો સંપર્ક કરો. કેરળમાં ટોમેટો ફ્લૂના કેસ સામે આવ્યા બાદ પાડોશી રાજ્ય તમિલનાડું એક્શનમાં આવી ગયું છે અને તેમણે આ બિમારીને રોકવા માટે દેખરેખ રાખવાનું શરૂ કરી દીધું છે. તમિલનાડુએ કેરળ સરહદ પર સ્વાસ્થ્ય અધિકારીઓની એક ટીમ પણ તૈનાત કરી દીધી છે, જે કેરળમાંથી આવનાર લોકોની તપાસ કરી રહી છે. જેનાથી આ ફ્લૂને બીજા રાજ્યોમાં ફેલાતો રોકી શકાય.


