ભરૂચ,
અંકલેશ્વરની જી.આઈ.ડી.સી.માં અભિલાષા ફાર્મા કંપની આવેલી છે. જે કંપનીમાં મધરાતે ગોપાલ સુદામ, સુંદરસિંહ ઇન્દ્રવન સિંગ, રઘુનાથ બુધી સંકેત, હરિઓમ ઉપાધ્યાય, રામદિન મંડલ રિએક્ટરમાં આઈસો પ્રોપાઇલ આલ્કોહોલ નાખી નજીકમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ઢાકણ ખોલતા રિએક્ટરમાં સ્પાર્ક થતાં જ બ્લાસ્ટ થયો હતો. જેને પગલે નજીકમાં કામ કરી રહેલા પાંચેય કામદારો દાઝી જતાં દોડધામ મચી હતી. કંપની સત્તાધીશોએ દાઝી ગયેલા તમામ કામદારોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મૂળ મધ્ય પ્રદેશનો અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી મોઘમણી ચોકડી સ્થિત યોગી એંજિનિયરિંગ પાસેના ભાડાના રૂમમાં રહેતો ૨૨ વર્ષીય સુંદરસિંગ ઇન્દ્રસિંગ અને હરિઓમ ઉપાધ્યાયનું કરૂણ મોત નીપજયું હતું. જ્યારે અન્ય ત્રણ કામદારો હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જી.આઇ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


