ગાંધીનગર
ગાંધીનગરના મગોડી રાવળ વાસમાં રહેતાં અશોક બુધાજી ઠાકોર ગત. ૩૦મી એપ્રિલના રોજ રાત્રીના સમયે ઘરે હાજર હતા. એ વખતે ગામના વિજયે ફોન કરીને જાણ કરી હતી કે, તારા પિતા બુધાજી મગોડી બળીયાદેવ મંદિર તરફ ચાલતા જઈ રહ્યા હતા. એ દરમિયાન એક બાઈક ચાલકે બુધાજીને ટક્કર મારી છે. જેનાં પગલે અશોક તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારે રોડ પર તેના પિતા ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે ગાંધીનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં ફરજ પરના તબીબે ઈજાગ્રસ્તની પ્રાથમિક સારવાર કરી તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ શિફ્ટ કર્યા હતા. અમદાવાદ સિવિલમાં બુધાજીની સઘન સારવાર શરૂ કરાઈ હતી. પરંતુ તેઓ બેભાન અવસ્થામાં જ હતા. ત્યારે પાંચ દિવસ પછી અચાનક વધુ તબિયત લથડતા બુધાજીનું બેભાન અવસ્થામાં જ મોત નીપજ્યું હતું. આ અંગે દહેગામ પોલીસે અજાણ્યા બાઇક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.દહેગામ-ચીલોડા હાઇવે રોડ પરથી પસાર થતાં રાહદારી વૃદ્ધને બાઈક ચાલક ટક્કર મારીને નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વૃદ્ધ ૫ દિવસથી સારવાર હેઠળ હતા. જેમનું મોત થતાં દહેગામ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.