ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશમાં થઈ રહેલી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામે પહોંચ્યા હતા. તેમજ પ્રભાત ફેરીમાં જાેડાઈને ગ્રામજનોના જન ઉમંગમાં સહભાગી થયા હતા. જેમાં સરઢવના અબાલ વૃદ્ધ સૌ ગ્રામજનો આ પ્રભાત ફેરીમાં ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રીએ પ્રભાતફેરી માર્ગમાં લોકો વચ્ચે જઈને તેમની સાથે વાતચીત કરી અભિવાદન ઝીલ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે પ્રભાત ફેરીના પ્રારંભ પૂર્વે સરઢવના અંબાજી માતા, રણછોડ રાય મંદિર સહિતના મંદિરોમાં મંગળા આરતી કરી દર્શન અર્ચન કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે ગામોમાં પ્રભાત ફેરી, ગામ તળાવ નિર્માણ અને ગામને ગૌરવ અપવનારા ગામના વ્યક્તિ વિશેષ, નિવૃત ઉચ્ચ અધિકારીઓ, શિક્ષકોના સન્માન, શાળાનો જન્મ દિવસ, વૃક્ષારોપણ સહિતના વિવિધ જન વિકાસ કામો લોકભાગીદારીથી આ જન ઉત્સવ અંતર્ગત ઉજવવા માટે જે આહવાન કર્યું છે તેને મુખ્યમંત્રીએ સરઢવના ગ્રામજનો સાથે આજે સાકાર કર્યું હતું. આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે ગામમાં નવિન આર.ઓ. પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું અને ગામના પ્રગતિશીલ ખેડૂતો જેમણે પ્રાકૃતિક ખેતી સફળતાપૂર્વક અપનાવી છે તેમનું પણ સન્માન કર્યું હતું. આ અવસરે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શંભૂજી ઠાકોર, પૂર્વ મંત્રી વાડીભાઈ પટેલ, સરપંચ કિરીટ ભાઈ પટેલ તેમજ ગામના વરિષ્ઠ અગ્રણીઓ, શાળાના છાત્રો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ગાંધીનગરના સરઢવ ગામે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રભાત ફેરી નીકળી હતી. મુખ્યમંત્રીએ સરઢવ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાના ૮૦ વર્ષની ઉજવણીમાં ખાસ હાજર રહી વૃક્ષારોપણ કરાવી ગામના પશુ દવાખાના ખાતે નૅશનલ એનિમલ કંટ્રોલ ડિસીઝ પ્રોગ્રામ અન્વયે પશુ રસીકરણ કેમ્પનો પણ પ્રારંભ કરાવ્યો હતો.


