ભુજ
અંજાર તાલુકાના મેઘપર ગામ નજીકના સોનલનગર વિસ્તારમાં કોઈ કારણોસર સ્થાનિક રહેવાસીઓ અને સામે રહેતા શ્રમ એરિયાના લોકો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં શ્રમ એરિયાના મજૂરોએ પથ્થરમારો કરતા સ્થાનિક લોકોને ઈજાઓ પહોંચી હતી. પ્રત્યાઘાતમાં સામે પક્ષે શ્રમ એરિયાના ઝૂંપડામાં આગજની કરતા ચાર જેટલા હંગામી આવાસો બળીને ખાક થઈ ગયાનું જાણવા મળ્યું હતું. બનાવની પ્રાથમિક માહિતી મુજબ અંજારના મેઘપરમાં આવેલા સોનલ નગર વિસ્તારમાં વસાહતના લોકો અને સ્થાનિક લોકો સાથે દારૂ પીવાની વાતને લઈ બબાલ સર્જાઈ હતી. જેમાં મજૂરોએ પથ્થરમારો કરતા સામે પક્ષે ઝૂંપડામાં આગ ચંપી દીધી હતી. જાેકે, આ મામલે હજુ સુધી પોલીસ ચોપડો કોરો રહેવા પામ્યો છે. તેથી આ ઘટનામાં કેટલું નુકશાન થયું છે કે કેટલા લોકો ઇજગ્રસ્ત થયા છે તે જાણી શકાયું નથી. ઉલ્લેખનીય કે આ વિસ્તારમાં દારૂનું દુષણ વ્યાપકપણે ફેલાયેલું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.


