સેવાલિયા
છેલ્લા ૧ મહિનાથી પેટ્રોલ પંપો ઉપર ડિઝલની અછતના કારણે અમારી ગાડીઓમાં જરૂરિયાત મુજબનો પુરવઠો મળતો નથી. જુદાજુદા ૨ થી ૩ પેટ્રોલ પંપ ઉપર જઈ થોડો પુરવઠો મળે છે. જેથી ડિઝલની શોધમાં ગાડીઓમાં ૧૦ લીટરથી વધારે ડિઝલ બળી જાય છે. ટ્રાન્સપોર્ટ માલિકોને પહેલાની જેમ સમયસર પુરવઠો મળવો જાેઈએ તેવી માંગ છે.છેલ્લા ઘણા સમયથી ઓઇલ કંપની દ્વારા રાબેતા મુજબ પુરવઠો આવતો નથી. અમારી જરૂરિયાત કરતા ૫૦ ટકાથી ઓછો પુરવઠો મળે છે. ૩૧ મેના રોજ ‘નો પરચેર્સ ડે’ ડિલરોની જાહેરાત કરવામાં આવી છે. આ દિવસે ડીલરો ઓઇલ કંપની પાસેથી પેટ્રોલ ડિઝલની કોઈ ખરીદી નહીં કરે. જાે કે પેટ્રોલ પંપ ઉપર વેચાણ ચાલુ રખાશે.સરકાર દ્વારા તાજેતરમાં પેટ્રોલ અને ડિઝલ પર ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ ઓઇલ ઉત્પાદન કરતી કંપનીને ડિઝલમાં પ્રતિ લિટરે રૂ.૨૮ અને પેટ્રોલમાં પ્રતિ લિટરે રૂ.૧૦ જેટલું નુકસાન થતું હોય ઓઇલ કંપનીઓ પ્રોડક્શન ઘટાડતા ગળતેશ્વર તાલુકામાં તંગી સર્જાઈ છે. તાલુકાના ૨૦થી વધુ પેટ્રોલ પંપો પર પૂરતો જથ્થો નહી ફાળવાતા ક્વોરી અને અન્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા માલ વાહક વાહનોમાં ડિઝલ પુરાવવાની સમસ્યા ઉભી થઇ છે. જેના કારણે ચરોતરમાં ટ્રાન્સપોર્ટેશનને ગંભીર અસર થઇ છે. ગળતેશ્વર તાલુકાના સેવાલિયા અને અમદાવાદ ઇન્દોર હાઇવે પરના ૨૦ થી વધારે પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડિઝલની અછતના કારણે ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ઉપરાંત પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના કારણે ખાનગી કંપનીઓના મોટા નુકસાનને કારણે રિલાયન્સ પેટ્રોલ પંપ ૧ મહિનાથી બંધ છે. જ્યાં બીજા પેટ્રોલ પંપ ચાલુ છે પરંતુ માત્ર શોભાના ગાંઠિયા સમાન પૂરતો પુરવઠો ન મળતો હોવાથી ટ્રાન્સપોર્ટ માલિકોને ગાડીના ટ્રાન્સપોર્ટેશન તકલીફ પડી રહી છે. જ્યારે હાઇવે પરના ગ્રાહકોને ડિઝલ,પેટ્રોલ માટે ૨ થી ૩ પંપ પર જાય ત્યારે માંડ પુરવઠો મળે છે. ગળતેશ્વર, સેવાલીયા અને અમદાવાદ ઇન્દોર હાઇવે પર આસપાસ ૨૦ થી વધારે પંપ આવેલા છે, તાલુકામાં ૫૦૦થી વધારે આસપાસના ટ્રાન્સપોર્ટ ટ્રકો કપચી, ગ્રીટ, ક્વોરી મટીરીયલ અને ખાનગી સિમેન્ટ કંપનીમાં કામ કરે છે. પરંતુ પેટ્રોલ પંપ પર ડિઝલની અછત છેલ્લા ૧ મહિનાથી સર્જાતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના માલિક પરેશાન છે.


