અમદાવાદ
ગુજરાત એટીએસે મુંબઈ પહોંચી તિસ્તા સેતલવાડની અટકાયત કરી હતી. શાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી તેને અમદાવાદ લઈ રવાના થઈ હતી. ૩ જેટલા વાહનોના કાફલા સાથે તિસ્તા સેતલવાડને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ફરિયાદ બાદ તિસ્તાની અટકાયત બાદ ધરપકડ કરાઈ હતી. અત્યાર સુધી તિસ્તા અને શ્રીકુમારની ધરપકડ કરાઈ છે. જ્યારે સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટથી પાલનપુર જેલથી અમદાવાદ લાવવામાં આવશે. ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિમાન્ડની માગ કરવામાં આવશે. ૨૦૦૨ના ગુજરાત રમખાણો મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ખાસ તપાસ ટીમે તત્કાલીન મુખ્યમંત્રીને ક્લીનચીટ આપી હતી. તેને જાકિયા ઝાફરી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જાકિયા ઝાફરીની અરજી ફગાવી દેતાં કાયદાકીય પ્રક્રિયાનો દૂરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડ સામે ફરિયાદ નોંધી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટર દર્શનસિંહ બારડે નોધાવેલી ફરિયાદમાં સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડને આરોપી તરીકે દર્શાવાયા છે. ફરિયાદમાં જાકિયા જાફરીને મદદ કરતા તેની કોર્ટ પિટિશન, એસઆઇટીના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પૂરાવાઓ સાચા તરીકે ઉપયોગ માટે રજૂ કર્યા હતા. આરોપીઓ સામે આઈપીસી ૪૬૮, ૪૭૧, ૧૯૪, ૨૧૧, ૨૧૮ અને ૧૨૦ બી મુજબ ગુનો નોધાયો હતો.મુંબઈથી ગુજરાત એટીએસે (એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ)તિસ્તાની અટકાયત કરી હતી. ત્યારબાદ તિસ્તાને અમદાવાદ લાવવામાં આવી હતી અને એટીએસે ક્રાઈમ બ્રાન્ચને સોંપતા તેની ધરપકડ કરવામાં આવી હતી. તિસ્તા સેતલવાડને ગુજરાત એટીએસએ ક્રાઈમ બ્રાન્ચને હવાલે કરી હતી. તિસ્તા સેતલવાડને મેડિકલ રિપોર્ટ માટે ક્રાઈમ બ્રાન્ચથી વીએસ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
