સવારે ૯ કલાકે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મુખ્ય કાર્યક્રમ, સ્ટોલ, પ્રદર્શન સહિતના આયોજનો સાથે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન
જિલ્લા કલેક્ટરશ્રી ડો.સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારી અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ
જામનગર તા.૧૯ ફેબ્રુઆરી,રાજય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી તારીખ ૨૪, ૨૫, ૨૬ ફેબ્રુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જામનગર જિલ્લામાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રી ડો.સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે જિલ્લા સેવાસદનના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.
બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર જામનગર જિલ્લામાં આગામી તારીખ ૨૬મી ફેબ્રુઆરીના રોજ સવારે ૯ કલાકે હાપા સ્થિત માર્કેટિંગ યાર્ડ ખાતે મુખ્ય કાર્યક્રમ, સ્ટોલ, પ્રદર્શન સહિતના આયોજનો સાથે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મળો યોજાશે. જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ, સહાય વિતરણ કરવામાં આવશે.
અધ્યક્ષસ્થાનેથી કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતું કે, ગરીબ કલ્યાણ મેળાનુ સુદ્રઢ આયોજન સહિત ચાલુ વર્ષના લાભાર્થીઓને આ મેળામાં તમામ લાભો મળે તે માટે પોર્ટલ ઉપર સમયસર ડેટા એંટ્રી કરાવવી. આ ઉપરાંત લાભાર્થીઓની કીટની ગુણવત્તા ચકાસણી અને કોઇ પણ લાભાર્થી સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા અમલીકરણ અધિકારીઓને રચનાત્મક સુચનો કર્યા હતા.તેમજ મેળાના સ્થળે કરવાની થતી અનુસંગિક વ્યવસ્થાઓ માટે પણ ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
બેઠકમાં અધિક કલેક્ટર શ્રી મિતેષ પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિર્તનબેન રાઠોડ, પ્રાંત અધિકારી સર્વ શ્રી આસ્થાબેન ડાંગર, શ્રી ગોવાણી, શ્રી ડોબરીયા, શ્રી સાકરીયા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મકવાણા, માર્ગ મકાનના કા.પા.ઇ શ્રી કટારમલ, એ.સી.એફ. શ્રી રાધિકા પરસાણા, ચીફ ઓફિસરશ્રીઓ સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
વિરેન્દ્રસિંહ પરમાર
