ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી ખાતે કર્યા સૂત્રોચ્ચાર.
એકાદ માસથી વીજ સમસ્યાના કારણે પાક બળી જવાની રાવ, પરિસ્થિતિ નહીં સુધરે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડાશે.
જેતપુર તાલુકાના ખેડૂતોને છેલ્લા એકાદ માસ જેટલા સમયથી ખેતીવાડીમાં પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો આપવામાં આવતો નથી. જેના કારણે પાકને નુકશાની જવાની રાવ ઉઠી છે. ખેડૂતોને છ કલાકના બદલે નિયમિત રીતે આઠ કલાક વીજળી આપવાની માંગ કરી સાથે છ કલાક આપવામાં આવતી વીજળી ટાઇમ પ્રમાણે આપવામાંનાં આવતી હોવાથી તાલુકાના પેઢલા ગામના ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ખેડૂતોને ઉનાળુ પાક માટે રાત્રીના સમયે છ કલાક વીજળી આપી રહી છે. પરંતુ છ કલાક વીજળી માત્ર કાગળ પર જ આપતી હોય તેવો જેતપુર તાલુકાના ખેડૂત આગેવાનોએ આક્ષેપ કર્યો હતો. ખેડૂત આગેવાનો આજે વીજ ધાંધીયા બાબતે પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતાં. નારા લગાવ્યા હતા.મોટા ભાગના ખેડૂતો દિવસે મજૂરી કામે જતા હોય અને રાત્રીના પિયત માટે ખેતરે જતા હોય અને તેમાં વીજળીના ધાંધીયા સર્જાતા હોવાથી ખેડૂતો ઉંઘ પણ કરી શકતા નથી.ખેડૂતોના ખેતરોમાં સુકાઈ રહેલા પાકની વ્યથા પ્રગટ કરતાં ખેડૂતો વહેલી તકે સરકાર દ્વારા 8 કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે.ખેડૂતોએ ધોમ ધખતા તાપમાં નીચે બેસી આક્રોશ સાથે કહ્યું કે વીજળીની માગ સાથે અમે આજે રડી રહ્યા છીએ સરકાર અમારી માગ સ્વીકારે.
જેતપુર તાલુકાના ખેડૂતોને છેલ્લા ઘણા દિવસથી ખેતીવાડીમાં કટકે કટકે પાંચથી છ કલાક જ વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. જેના કારણે પાકને નુકશાન જઈ રહ્યું હોય, ખેડૂતો જેતપુર પીજીવીસીએલ કચેરી ખાતે દોડી આવ્યા હતા અને લોર્ડ સેટિંગ કે સરકારના સેટિંગ સૂત્રોચ્ચાર નારા સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. જો પરિસ્થિતિ નહીં સુધરે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડવા ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
હરેશ ભાલીયા જેતપુર


