ગાંધીનગર
હાલમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ પક્ષની સંપુર્ણ કમાન સંભાળી રહ્યા છે. તેઓ, વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ હેઠળ સમગ્ર રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે. આ રીતે, રાજ્યના ભાજપના કાર્યકરો અને નેતાઓ સાથે સમય પસાર કરી વાસ્તવિક પરિસ્થિતિનો તાગ પણ મેળવી રહ્યા છે અને સ્થાનિક નેતૃત્વથી વાકેફ પણ થઇ રહ્યા છે. ભાજપના આખાબોલા પ્રદેશ અધ્યક્ષ પાટીલે જાહેર મંચ પરથી કેટલાય ધારાસભ્યોની ટિકિટ કપાઇ નવા ચહેરાને તક મળી શકે છે, તેવો આડકતરો સંદેશ પણ આપ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, કોઇ જૂથમાં ભરાયા વગર પક્ષમા અને પક્ષ માટે કામ કરવાની અપીલ કાર્યકર્તાઓને કરી હતી. કમળનું નિશાન લઇને જે પણ આવે તેને વધાવી લેવાનું અને જિતાડવા માટે જણાવ્યું હતું. ભાજપમાં કોઇએ ટિકિટ લેવા કે રજૂઆત કરવા મારી પાસે આવવું નહીં, તે કામ હાઇકમાન્ડનું છે અને તે નક્કી કરશે. ભાજપ અધ્યક્ષ પાટીલે, કાર્યકરોને જૂથવાદ કે લોભ લાલચ વગર પક્ષ માટે કામ કરવાની અને તમારા કામ પ્રમાણે ટિકિટ ફાળવણી કરાશે તે જણાવ્યુ છે. જે રીતે, વિજય રૂપાણી સરકાર ફગાવી નવા ચહેરા સાથેનું મંત્રીમંડળ રચવામાં આવ્યું છે, તે રીતે તદ્દન નવા ચહેરા મેદાનમાં ઉતારી ભાજપ એક સાથે અનેક તીર મારી શકે છે, એન્ટી ઇન્કમ્બન્સી ટાળી શકે છે. જાેકે, આ સ્થિતિમાં ભાજપને મોટા પડકારનો સામનો કરવો પડી શકે છે પરંતું, આ ભાજપ ગુજરાતમાં કોઇપણ પ્રયોગ કરી શકે છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં તમામ રાજકીય પક્ષોએ પોતાનો પ્રચાર પ્રસાર અને બેઠકોનો દોર વધારી દીધો છે. જાેકે, ભાજપ તો કાયમી ચૂંટણીના મોડમાં જ હોય છે. પરંતું, આમ આદમી પાર્ટી વધુ સક્રિય જાેવા મળી રહી છે, તો કોંગ્રેસ પણ ક્યાંક સક્રિય જાેવા મળી રહી છે. ત્યારે, કોંગ્રેસમાં નો રિપિટ થિયરીની કોઇ શક્યતા નથી પરંતું, ભાજપમાં મોટાપાયે નો રિપિટ થિયરી અપનાવી અનેક નવા ચહેરાને તક આપવામાં આવે તેવા અણસાર સ્પષ્ટ જાેવા મળી રહ્યા છે.


