વિસનગર
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ભારત સરકાર દ્વારા તાજેતરમાં જેમને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, તેવા પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદ (દંતાલીવાળા) ર્યુનિવસિટી કેમ્પસ ખાતે ખાસ આર્શીવચન માટે પધાર્યા હતા. જેમનું સ્વાગત વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા પુષ્પવર્ષાથી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી ઇ-કારમાં કેમ્પસની મુલાકાત કરી હતી. ત્યારબાદ નુતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર ખાતે જગત જનની મા અંબેની આસો સુદ આઠમની આરતીનો લાભ લીધો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલે સ્વામીજી દ્વારા સમાજને ઉપયોગી સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક પ્રદાનને બિરદાવ્યું હતું. યુનિવર્સિટીના વિકાસના પાયામાં આપેલ યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, યુનિવર્સિટી કેમ્પસ ખાતે સ્વામીજીના નામથી વર્ષ ૨૦૦૦ની સાલથી ચાલતી સ્વામી સચ્ચિદાનંદ પોલિટેકનિક કોલેજની સ્થાપનામાં તેમનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. સ્વામીજીએ પોતાના પ્રાસંગીક આર્શીવચનમાં યુનિવર્સિટીને આધુનિક તીર્થસ્થાન ગણાવ્યું હતું અને સંસ્થાના સ્થાપક કર્મવીર સ્વ. સાંકળચંદ પટેલના જીવનના અનેક પ્રેરક પ્રસંગોનો ઉલ્લેખ કર્યો હતો. વર્તમાનમાં યુનિવર્સિટીના પ્રગતિશીલ, ઉત્સાહી પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલને આધુનિક સાંકળચંદ પટેલ તરીકે બિરદાવ્યાં હતા. વધુમાં તેમણે લાલબહાદુર શાસ્ત્રીના “જય જવાન, જય કિસાન” અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “જય વિજ્ઞાન, જય અનુસંધાન”થી જ રાષ્ટ્રનો વિકાસ શક્ય બનશે, જેને સાર્થક કરવા માટે આધુનિક યુનિવર્સિટીઓનો અમૂલ્ય ફાળો રહેશે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી તેની આગવી ઓળખ ઊભી કરી આ કાર્યમાં સહભાગી બનશે તેવો તેમને પૂરેપૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં યુનિવર્સિટી અને તેની સંલગ્ન સંસ્થાઓ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિ કરે તેવા આર્શીવચન પાઠવ્યાં હતા.

