રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈને કોઈ કારણસર વિવાદોમાં સંપડાયેલી જાેવા મળે છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયદા ભવનની વિદ્યાર્થિનીએ ભવનના જ અધ્યક્ષ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કર્યાને ત્રણ માસ જેટલો સમય વીત્યા બાદ પણ તપાસ ન થતા પીડિતાએ રોષ ઠાલવ્યો છે અને નવા કુલપતિ સમક્ષ પણ ન્યાયની માંગ કરવા જવાની વાત કરી છે. સાથે જ હજુ સુધી તપાસ સમિતિએ પૂછપરછ માટે ન બોલાવી સમગ્ર પ્રકરણ દબાવી દીધાનો પણ આક્ષેપ કર્યો છે. યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થિનીએ તત્કાલીન કુલપતિ ડો.નિતીન પેથાણી સમક્ષ રજૂઆત કરી હતી કે કાયદા ભવનના હેડ આનંદ ચૌહાણે પીએચ. ડી. પાસ કરાવી અધ્યાપક બનાવી દેવાની લાલચ આપી વર્ષ ૨૦૦૭થી ૨૦૨૦ સુધીમાં મારી સાથે દુષ્કર્મ કર્યુ. ગત વર્ષે પીએચ.ડી.માં ૧૦૦ માંથી ૩૩ માર્કસ મળતા ૧૨ માર્કસ કૃપાગુણ તરીકે આપી પાસ કરવા રજુઆત કરી હતી. જે પણ ન આપ્યા. મારા શરીરના કાટલા નીકળી ગયા છતાં ન્યાય ન મળ્યો. તત્કાલીન કુલપતિએ તાબડતોબ તપાસ સમિતિ રચી અને લીનાબેન ગાંધીને તપાસ કમિટીના અધ્યક્ષ અને અન્ય સભ્યોની પણ નિમણુક કરી. જે બાદ પીડિતાએ ઇન્ટર્નલ કમ્પ્લેઇન કમિટી સમક્ષ પણ લેખિત રજૂઆત કરી હતી. જાેકે ફરિયાદને ત્રણ માસથી વધુ સમય વીત્યા બાદ પણ તપાસ ન થતા પીડિતાનો સંપર્ક કરતા તેણે જણાવ્યું કે, નવા કુલપતિ ડો.ભિમાણી સમક્ષ પણ હું મારી આપવીતી જણાવી ન્યાય માંગીશ. યુનિવર્સિટીના સત્તાશીધો સમગ્ર પ્રકરણને દબાવી દેવા માંગતા હોય તેમ હજુ સુધી તપાસ શરુ પણ નથી થઇ. પીડિતાએ મારી વિરુદ્ધ કરેલા આક્ષેપો સદંતર ખોટા છે, જે બાબતે અગાઉ લીગલ નોટીસ આપી રૂ.૧ કરોડનો બદનક્ષીના દાવાની પ્રક્રિયા કરી હતી, જે કાયદાકીય પ્રક્રિયા કોર્ટમાં ચાલુ છે.
