શ્રીનગર
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આજે સવારે આર્મી કેમ્પની બહાર ફાયરિંગની ઘટનામાં બે નાગરિકોના મોત થયા હતા અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. સેનાએ ગોળીબાર અને નાગરિકોની જાનહાનિ માટે “અજાણ્યા આતંકવાદીઓ” ને જવાબદાર ઠેરવ્યા હતા, જ્યારે અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે સૈન્ય સંત્રીએ કથિત રીતે ગોળીબાર કર્યો હતો, જેના કારણે જાનહાનિ થઈ હતી. આ ઘટના પછી તરત જ, સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આલ્ફા ગેટની બહાર થયેલી હત્યાના વિરોધમાં આર્મી કેમ્પ પર પથ્થરમારો કર્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ જમ્મુ-પૂંચ નેશનલ હાઈવેને બ્લોક કરી દીધો હતો અને ઘટનાની તપાસની માંગ કરી હતી. રોષે ભરાયેલા સ્થાનિકોને શાંત કરવા સિનિયર સિવિલ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે આ ઘટના સવારે ૬.૧૫ વાગ્યાની આસપાસ બની જ્યારે સ્થાનિક લોકોનું એક જૂથ આર્મી કેમ્પના આલ્ફા ગેટ પાસે કામ માટે જઈ રહ્યું હતું. અધિકારીઓએ મૃતકોની ઓળખ કમલ કુમાર અને સુરિન્દર કુમાર તરીકે કરી છે. બંને રાજૌરીના ફરિયાના વોર્ડ નંબર-૧૫ના રહેવાસી હતા. ફાયરિંગમાં ઘાયલ થયેલા અનિલ કુમાર ઉત્તરાખંડનો રહેવાસી છે, જેની સેનાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સેનાની ‘વ્હાઈટ નાઈટ કોર્પ્સ’એ તેના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પર ટિ્વટ કર્યું, ‘રાજૌરીમાં સવારે સૈન્ય હોસ્પિટલ નજીક અજાણ્યા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારની ઘટનામાં બે લોકોના મોત થયા છે. પોલીસ, સુરક્ષા દળો અને નાગરિક પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.અધિકારીએ કહ્યું કે શહેરમાં સ્થિતિ તંગ છે પરંતુ નિયંત્રણમાં છે. એસએસપી રાજૌરી મોહમ્મદ અસલમ ચૌધરીએ જણાવ્યું કે માર્યા ગયેલા બંને લોકો સેના માટે પોર્ટર તરીકે કામ કરતા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ મૃતકોના પરિવારજનોને ૧૦-૧૦ લાખ રૂપિયાનું વળતર, તેમના સંબંધીઓને નોકરી અને બાળકોને મફત શિક્ષણની માંગ કરી છે. આ પહેલા બુધવારે રાજૌરીના મુરાદપુરમાં સેના અને પોલીસ દ્વારા શંકાસ્પદ દેખાતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ પોલીસને જણાવ્યું હતું કે સવારે લગભગ ૫ વાગ્યે, બે અજાણ્યા લોકો તેમના ખભા પર બેગ લઈને તેમના પરિસરમાં ઘૂસ્યા અને તેમને દરવાજાે ખોલવાનું કહ્યું. તેઓએ આસપાસના લોકોને બોલાવ્યા અને અવાજ કરવા લાગ્યા, ત્યારબાદ બંને અજાણ્યાઓ ભાગી ગયા, પરંતુ તરત જ સેના અને પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. લગભગ ૬ કલાક સુધી સેના અને પોલીસે દરેક ખૂણે ખૂણે શોધખોળ કરી, પરંતુ કોઈ સફળતા મળી ન હતી.
