Gujarat

સ્યુમોટો વારસાઈ ઝુંબેશનું આયોજન કરી સંબંધીતોને તેઓના વારસાઈ હક અપાવવા અંગેની કાર્યવાહી હાથ ધરાઈ

જામનગર ખાતે આગામી તા. 1લી મે ના રોજ થનાર ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી
અંતર્ગત જામનગર જિલ્લા વહીવટી તંત્ર તથા વિવિધ વિભાગો દ્વારા ખાસ થીમ આધારિત વિવિધ વિશેષ દિવસોની ઉજવણી
કરવામાં આવી રહી છે.જે અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ તમામ પ્રાંત તથા મામલતદાર કચેરીઓ
ખાતે ગત તા.21 એપ્રિલના રોજ 'સિવિલ સર્વિસ ડે' ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સ્યુમોટો વારસાઈ ઝુંબેશનું વિશેષ
આયોજન કરી સંબંધીતોને તેઓના વારસાઈ હક અપાવવા અંગેની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ખાતેદાર ખેડૂતના અવસાનના ઘણા કિસ્સાઓમાં વારસો દ્વારા વારસાઈ નોંધ દાખલ ન કરાવવાના કારણે
લિટીગેશન ઊભા થતા હોવાનું જિલ્લા વહીવટી તંત્રના ધ્યાને આવેલ.જેથી જામનગર જિલ્લાના તમામ ગામો ખાતે ઉપલબ્ધ
મરણ રજીસ્ટરો ચકાસી વર્ષ 2011 થી 2022 દરમિયાન અવસાન પામનાર વ્યક્તિઓનો ડેટા એકત્ર કરી સંબંધીત ગામના ગામ
નમુના નંબર 8-અ સાથે ક્રોસ વેરિફાઇ કરી, જો કોઈ અવસાન પામેલ ખાતેદારનું ખાતું ચાલુ હોય તો મામલતદારશ્રી મારફત
જરૂરી ખરાઇ કરાવી જરૂરી આધાર પુરાવા વારસદારો પાસેથી મેળવી વારસાઈ નોંધો દાખલ કરાવવાની કામગીરી જિલ્લા
કલેક્ટરશ્રીના સીધા મોનીટરીંગ હેઠળ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહીથી અવસાન પામનાર ખાતેદારોના વારસોને વારસાઈ હક અપાવવા અંગેના હકારાત્મક પરિણામો પણ મળેલ
છે.જેમાં જામનગર તાલુકામાં 27, ધ્રોલ તાલુકામાં 71, જોડિયા તાલુકામાં 50, લાલપુર તાલુકામાં 64, કાલાવડ તાલુકામાં 33
તેમજ જામજોધપુર તાલુકામાં 58 વારસાઈ નોંધો દાખલ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *