જેતપુરના રેશમડીગાલોલનો બનાવ : કાર લઈને ઘરે જતાં કાર્યકરને અટકાવી ત્રણ શખ્સોએ ઝગડો કરીને પાઇપ ફટકરીને છરીના ઘા ઝીકયા
લોકસભા ચૂંટણીના મતદાનની પૂર્વ રાત્રીએ રાજકરણ ગરમાયું હતું. જેતપુરના રેશમડીગાલોલમાં મતદાન શેમાં કરવાનું છે ? કહીં ભાજપના કાર્યકર પર ત્રણ શખ્સોએ છરીથી હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે જેતપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે જેતપુરના રેશમડીગાલોલમાં રહેતાં રમેશભાઈ ભીખાભાઈ મકવાણા (ઉ.વ.૪૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પ્રતાપ જગુ લુહાર, સુજલ રમેશ વેગડા અને અજાણ્યો શખ્સ (રહે. તમામ રેશમડીગાલોલ, જેતપુર) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ મજુરીકામ કરે છે. કરી ગઈકાલે સાંજના આઠેક વાગ્યે ગામમા જુના વાસમા મજુરો ઉતારીને ઘરે જતો હતો,ત્યારે ગામના સ્મશાન પાસે પહોંચતા પ્રતાપ લુહાર, સુજલ વેગડા અને તેની સાથે એક અજાણ્યો શખ્સ ઉભા હતા ત્યારે ત્યાંથી નીકળતા તેમનો ઉભો રાખી કહેલ કે, આ વખતે ચુટણીમાં મતદાન શેમાં કરવાનુ છે, તે બાબતે ચર્ચા કરતા તેને કહેલ કે, મારી ઇચ્છા મુજબ મતદાન કરવાનો હોય અને કોઈને જણાવવાનું ન હોય તેવુ કેહતા ત્રણેય શખ્સો ઉશ્કેરાય જઈ પ્રતાપે તેની પાસે રહેલ પાઈપથી હુમલો કર્યો હતો.
તેમજ સુજલ પણ પાઈપ મારવા જતા તેઓ ખસી જતા તેમના ગાડીના દરવાજા પાસે મારેલ અને અજાણ્યા શખ્સે હાથના ખંભાના ભાગે છરીનો એક ઘા મારી દીધેલ હતો. બાદમાં તેઓ ઘરે દોડી જઈ સારવાર માટે જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર તાલુકા પોલીસે આઈપીસી કલમ ૩૨૪, ૧૧૪ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

