Gujarat

પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

પ્રજાલક્ષી અભિગમ સાથે વિકાસ કાર્યોને ઝડપભેર પૂર્ણ કરીએ પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર
 અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી  ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને સંકલન હોલ, છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મંત્રીએ આયોજન, પુરવઠા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાણી પુરવઠા, ખેતીવાડી, પ્રાકૃતિક કૃષિ, ખાણ ખનીજ, સમાજ કલ્યાણ, માર્ગ અને મકાન સહિતના વિવિધ વિભાગો દ્વારા કાર્યરત યોજનાઓ તથા વિકાસકાર્યોની વિગતો મેળવીને જરૂરી સૂચનો આપ્યા હતા. મંત્રીશ્રીએ વિકાસ કાર્યોની સમીક્ષા કરીને વિકાસ કાર્યોની પ્રગતિ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ તકે પ્રભારી મંત્રીએ લોકોને સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યોનો વધુમાં વધુ લાભ મળે તેવા પ્રયત્નો કરવા જણાવીને પ્રજાલક્ષી અભિગમ સાથે વિકાસ કાર્યોને ઝડપભેર પૂર્ણ કરવા અપીલ કરી હતી. તેમણે પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોનો હકારાત્મક અભિગમ સાથે ઝડપભેર નિકાલ કરવા અધિકારીઓને સૂચવ્યું હતું.
આ બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રેઝન્ટેશન દ્વારા મંત્રીશ્રીને યોજનાઓ અને કાર્યો વિશે અવગત કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ઇ.કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી  સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક  ઈમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેકટર શૈલેશ ગોકલાણી તથા પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.