Gujarat

અમરેલી જિલ્લામા વૈજ્ઞાનિક રીતે થયેલા પૃથક્કરણમાં સિદ્ધ થયું, ઘઉંમાં જોવા મળતા 228માંથી એક પણ ઝેરી તત્વ નથી તેવા ઘઉંનુ હવે અમરેલીમા ઉત્પાદન

છેલ્લા પાંચેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા અમરેલીના જેસીંગપરાના એક ખેડૂતે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટસ સર્ટિફિકેશન એજન્સી(GOPCA)નું Scope સર્ટિફિકેટ મેળવે છે અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં પોતાના ખેતરમાં થયેલા આ ઘઉંનું પૃથક્કરણ કરાવે છે. ઘઉંમાં જોવા મળતા 228 ઝેરી તત્વોમાંથી એક પણ ઝેરી તત્વ આ ઘઉંમાં જોવા મળતા નથી. જેથી તેમના ઘઉંનું રૂ. 900ના ઉંચા ભાવે ઘર બેઠા વેચાણ થયું. પ્રાકૃતિક કૃષિ કરતા ઘનશ્યામભાઈ ત્રાપસિયાએ હવે સાડા પાંચ વીઘામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું મોટા પાયે મૂલ્યવર્ધન-પેકિંગ કરીને વેંચાણ કરવાનું આયોજન કર્યું છે. ઘનશ્યામભાઈ કહે છે કે, પ્રાકૃતિક કૃષિની કમાલ એ છે કૃષિ પેદાશોના ભાવ સારો મળે છે.જેનો ખેડૂતોને આર્થિક રીતે સીધો ફાયદો થાય છે. ઉપરાંત જમીન ઝેર મુક્ત બનવાની સાથે પર્યાવરણનું રક્ષણ થાય છે ખેતી ખર્ચ ઓછો થાય છે.કેન્સર ડાયાબિટીસ જેવા ગંભીર રોગોએ ભરડો લીધો છે, ત્યારે લોકો નિરોગી રહે તે માટે પ્રાકૃતિક ખેતી આવશ્યક અને અનિવાર્ય પણ બની છે. મારી જમીન અને તેમાંથી મળતા ઉત્પાદનો ઝેરમુક્ત બન્યા છે, તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.

ઘનશ્યામભાઈ ત્રાપસિયા વર્ષ-2018માં ગાંધીનગર ખાતે એક પ્રાકૃતિક કૃષિની શિબિરમાં સહભાગી બને છે અને પોતાની જમીનમાં ક્યારેય રાસાયણિક ખાતર કે દવા છંટકાવ ન કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા. આજે તેઓ ફાર્મર માસ્ટર ટ્રેનર બની અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે માર્ગદર્શન આપી રહ્યા છે. તેમણે પાંચ ગામમાં પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસારની જવાબદારી સંભાળી છે.પ્રાકૃતિક કૃષિ પેદાશોની શુદ્ધતાને પ્રમાણિત કરતી એવી GOPCA – સંસ્થાનું સર્ટિફિકેટ ઘનશ્યામભાઈએ મેળવ્યું છે જે પ્રમાણપત્ર ભારે જહેમત બાદ મળે છે. એક ખાસ ટીમ ફાર્મની વિઝીટ અને નિયત માપદંડની ખરાઈ કર્યા બાદ આપે છે. આ પ્રકારના સર્ટિફિકેટ હોવાથી પ્રાકૃતિક પેદાશો પર લોકોનો ભરોસો વધે છે. ઘનશ્યામભાઈ ઘઉં, ચણા, વિવિધ કઠોળ, મગફળીની પ્રાકૃતિક ખેતી કરે છે. આ વર્ષે ખરીફ પાકમાં કપાસનું વાવેતર કર્યું છે.

પ્રાકૃતિક ખેતીના હિમાયતી ઘનશ્યામભાઈ જણાવે છે કે, ગુજરાત રાજ્ય સરકાર અને રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતજી, પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધરાવા માટે આ મહા અભિયાનને પ્રાથમિકતા આપે છે. સાથે જ પ્રાકૃતિક કૃષિ માટે ગાયના પાલન, પંચ સ્તરીય પાક માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. જેથી પ્રાકૃતિક ખેતીની મુહિમને વેગ મળે છે.