રાજકોટમાં છેલ્લા કેટલાક સપ્તાહથી ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ચાલુ સપ્તાહે વધુ 22 ડેન્ગ્યુના કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત મેલેરિયા 3 અને ચિકનગુનિયાના 1 સહિત વિવિધ રોગોના કુલ 1356 કેસ નોંધાયા છે.
જેમાં શરદી-ઉધરસના સૌથી વધુ 686 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જોકે, આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોના છે. ત્યારે નાના મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો આંકડો 5 ગણો એટલે કે, 7,000થી વધુ હોવાની શક્યતા છે.
પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં ગત સપ્તાહના 1,868 સામે 1,356 કેસ નોંધાયા હતા. જેમાં શરદી-ઉધરસના ગત સપ્તાહના 1034 કેસ સામે આ સપ્તાહે 686 કેસ, ઝાડા-ઉલટીના 220 સામે 202 કેસ અને સામાન્ય તાવનાં પણ 585 સામે 440 કેસ નોંધાયા છે.
મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુના 22 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં ટાઈફોડ તાવનો 1 તેમજ 1 કેસ મેલેરિયાનો સામે આવતા ફોગિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.

