હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી બનાસકાંઠામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ તેમજ પાલનપુરના ધારાસભ્ય અનિકેત ભાઈ ઠાકરની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની ‘હર ઘર તિરંગા યાત્રા’ યોજાઈ હતી.
ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પૂર્વ સાંસદ પરબતભાઇ પટેલ, જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલ , જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર સી.પી.પટેલ સહિતના અધિકારીઓ હાથમાં તિરંગો લઈ ઉત્સાહભેર તિરંગાયાત્રામાં જોડાયા હતા. પોલીસ હેડ ક્વાર્ટર થી કલેકટર કચેરી સુધી નીકળેલી આ યાત્રા જાહેર માર્ગ પર થી પસાર થતાં મોટી સંખ્યામાં નગરવાસીઓ પણ જોશ સાથે જોડાયા હતા અને દેશભક્તિના નારા લગાવ્યા હતા.

પોલીસ જવાનો દ્વારા 200 મીટર લાંબા તિરંગા સાથેની આ યાત્રા સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી. રાહદારીઓ, વેપારીઓ, વાહનચાલકો અને નગરજનોએ હાથમાં તિરંગો ધ્વજ લહેરાવી યાત્રાનું સ્વાગત કર્યું હતું. તિરંગાયાત્રા પ્રસંગે પાલનપુર નગર તિરંગામય બની જવા પામ્યું હતું. સાંસદ બાબુભાઈ દેસાઈ અને પૂર્વ સાંસદ પરબતભાઇ પટેલે દેશના વીર સપૂતોના બલિદાનને યાદ કરી જિલ્લાવાસીઓને તિરંગા યાત્રા અને સ્વતંત્રતા પર્વ ની શુભકામનાઓ પાઠવી હતી.

