Gujarat

આતંકવાદીઓના ગોળીબાર બાદ સેનાના જવાનોએ પણ આતંકવાદીઓની સામે જવાબી કાર્યવાહી કરી

જમ્મુના કઠુઆમાં સૈન્ય વાહન પર હુમલો બાદ એન્કાઉન્ટર ચાલુ

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓએ, સેનાના એક વાહનને નિશાન બનાવ્યું છે. આ હુમલા અંગે સેનાની વળતી જવાબી કાર્યવાહીથી એન્કાઉન્ટર શરૂ થયું છે. સૂત્રોનું કહેવું છે કે આ એક આયોજનબદ્ધ આતંકવાદી હુમલો છે. ભારતીય સેના આનો જવાબ આપી રહી છે.

સુરક્ષાદળોની વધારાની કુમક પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કઠુઆ જિલ્લાના બિલવર તાલુકાના મછેડી વિસ્તારના બદનોટા ગામમાં આતંકવાદીઓએ સૈન્ય વાહનને નિશાન બનાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લો ભારતીય સેનાની ૯મી કોર્પ્સ હેઠળ આવે છે. આતંકવાદીઓના ગોળીબાર બાદ સેનાના જવાનોએ પણ આતંકવાદીઓની સામે જવાબી કાર્યવાહી કરી છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે.

આ પૂર્વે ગત શનિવારે કાશ્મીરના કુલગામમાં બે એન્કાઉન્ટરમાં છ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બે જવાનો પણ શહીદ થયા હતા. અધિકારીઓએ રવિવારે કહ્યું હતું કે, મોદરગામ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે રવિવારે ચિન્નીગામમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા હતા.

સૈન્ય અધિકારીએ જણાવ્યું કે, કુલગામ જિલ્લાના બે ગામોમાં શનિવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક પેરા કમાન્ડો સહિત બે જવાનો શહીદ થયા હતા. આ ઓપરેશન્સ વિશે વાત કરતા પોલીસ મહાનિર્દેશક આરઆર સ્વૈને કહ્યું કે ૬ આતંકવાદીઓનો ખાત્મો એ મોટી ઉપલબ્ધિ છે. આ સફળતા એ સંકેત છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવાની લડાઈ તેના અંત સુધી પહોંચશે.