Gujarat

જગત મંદિરમાં ભાવિકો પ્રવાહ ઉમટ્યો; જગતમંદિરમાં કાલે અક્ષય તૃતીયા મહોત્સવ ઉજવાશે

હાલારના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશજી જગત મંદિરે ચૈત્રી અમાવસ્યાના હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા.

વહેલી સવારથી ધર્મનગરીના આંગણે પહોચેલા ભાવિકોએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કર્યા બાદ કાળીયા ઠાકોરને શિશ ઝુકાવી દાન-પૂણ્ય કરી પૂણ્યનુ ભાથુ બાંધ્યુ હતુ.

મંગલા આરતીથી શરૂ થયેલો ભાવિકોનો પ્રવાહ મોડી સાંજ સુધી યથાવત રહયો હતો.

ચૈત્ર માસ ધાર્મિક અનુષ્ઠાનો સહિતના કાર્યો, પ્રભુસ્મરણ, સંકીર્તન ઉપરાંત દાન-પુણ્ય માટે પાવનકારી ગણાય છે.બુધવારે ચૈત્ર માસનું સમાપન થયુ હતુ.

જે ચૈત્રી અમાવસ્યાના પાવન અવસરે ધર્મનગરી દ્વારકામાં વહેલી સવારથી જ બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા અને દ્વારકાની પુણ્ય સલીલા ગોમતી નદીમાં સ્નાન કરી કાળિયા ઠાકોરને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

અમાવસ્યાના અવસરે દ્વારકાધીશના જગતમંદિરમાં વહેલી સવારે મંગલા આરતીમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી.