Gujarat

રાજકોટમાં ડેન્ગ્યુ, મેલેરિયા ને વાઇરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા; અમદાવાદમાં ઝાડા-ઊલટીના 300થી વધુ દર્દી સારવાર હેઠળ

ગુજરાતમાં એક તરફ ચાંદીપુરા વાઈરસના કારણે બાળકોના જીવ જોખમમાં મુકાયા છે. તો બીજી તરફ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ખતરો વધ્યો છે. વરસાદી પાણી ભરાવવાના કારણે ગંદકી અને માખી-મચ્છરનો ઉપદ્રવથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી શહેરજનો બીમાર પડી રહ્યા છે. ત્યારે શરદી-ઉધરસ અને તાવ ઉપરાંત ડેન્ગ્યુ, મેલેરિયા અને વાઈરલ ઇન્ફેક્શનના કેસ નોંધાતા રાજકોટ અને અમદાવાદની સિલિવ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો

રાજકોટમાં હાલ ચાંદીપુરા વાઇરસના કહેર વચ્ચે સીઝનલ બીમારીમાં વધારો થયો છે. ચોમાસાની સીઝનના કારણે શરદી-ઉધરસ, તાવ, ઝાડા-ઉલટી તેમજ ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોડ, કોલેરા અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ધસારો જોવા મળી રહ્યો છે.

રોગચાળો વધતા સિવિલ હોસ્પિટલની કેસબારી તેમજ દવાબારી ખાતે દર્દીઓ તેમજ તેના સગાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યા હોય કતારો લાગી હતી. જો કે, હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં હોવાનું તેમજ બધી દવાઓ અને ઇન્જેક્શનના પૂરતા સ્ટોક સાથે પર્યાપ્ત સ્ટાફ હોવાનું હોસ્પિટલના મીડિયા કો-ઓર્ડિનેટર ડો. હેટલ ક્યાડાએ જણાવ્યું હતું.

છેલ્લા એક મહિનાથી પુરતી દવાઓ મળતી નથી

દિપક ચુડાસમા નામના એક દર્દીએ જણાવ્યું હતું કે, મને ડાયાબિટિસ હોવાને કારણે છેલ્લા ત્રણેક વર્ષથી સિવિલ હોસ્પિટલમાંથી સારવાર અને દવાઓ લઉં છું. જોકે, છેલ્લા એક મહિનાથી પુરતી દવાઓ મળતી નથી. જ્યારે આવીએ ત્યારે બે-ત્રણ દવા બહારથી લઈ લેવાનું કહેવામાં આવે છે. હું રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવું છું.

બહારથી દવાઓ લેવામાં 500થી 1000 રૂપિયાનો ખર્ચ થાય છે. જે પરવડે તેમ ન હોવાથી ભારે હાલાકી ભોગવવી પડે છે. આજે પણ એક દવા આપી અને બીજી બહારથી લેવા જણાવ્યું છે. ત્યારે આ અંગે તાત્કાલિક પગલાં લેવાય તે જરૂરી છે.