Gujarat

ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં કુલાધિપતિ આચાર્ય દેવવ્રત એ મોરારજી દેસાઈ મંડપમનું નામાભિધાન કર્યું

ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન મોરારજી દેસાઈની 129મી જન્મજયંતીએ રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતએ વિદ્યાપીઠ પરિસરમાં આવેલા મુખ્ય સભાગૃહનું ‘મોરારજી દેસાઈ મંડપમ’ નામાભિધાન કર્યું હતું. નવી શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ 2023-24થી ગુજરાત વિદ્યાપીઠમાં અમલી થનારા નવા અભ્યાસક્રમના પુસ્તકનું આચાર્ય દેવવ્રત એ વિમોચન કર્યું હતું. ગાંધીજીના વિચારો સામાન્યજન સુધી રેડિયોના માધ્યમથી પહોંચે એ માટે કાર્યરત થનાર ગુજરાત વિદ્યાપીઠનો ‘રેડિયો-વૈષ્ણવજન’ પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લોન્ચ કર્યો હતો.

મહાનુભાવોએ મોરારજી દેસાઈને સ્વચ્છાંજલિ અર્પણ કરી

ગાંધી સાહિત્ય મેળવવા ઉત્સુક વાચકોને ગાંધી સાહિત્ય સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય એ હેતુથી અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના પ્રવેશદ્વાર નજીક, આશ્રમ રોડ પર જ પુસ્તક ભંડાર બનાવવામાં આવ્યો છે. કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મંગલદીપ પ્રગટાવીને આ પુસ્તક ભંડારનો શુભારંભ કરાવ્યો હતો. મોરારજી દેસાઈને અંજલિ આપવા ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કુલપતિ ડૉ. હર્ષદ પટેલ, વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હસમુખ પટેલ, દિલીપ ઠાકર અને અન્ય મહાનુભાવોએ મોરારજી દેસાઈને સ્વચ્છાંજલિ અર્પણ કરી હતી.

સૌથી લાંબા સમય સુધી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિપદે રહ્યા

આચાર્ય દેવવ્રતએ મોરારજી દેસાઈને અંજલિ આપતાં કહ્યું કે, ગુજરાતના વલસાડ જિલ્લાના નાનકડા ગામ ભદેલીમાં જન્મીને, અંગ્રેજોના શાસનમાં સંઘર્ષ કરીને કલેક્ટરપદ સુધી પહોંચનાર મોરારજી દેસાઈ પૂજ્ય ગાંધીજીના સંપર્કમાં આવી, કલેક્ટરપદ છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઈ ગયા હતા. જીવનમાં ક્યારેય સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં કરનાર મોરારજી દેસાઈ પ્રધાનમંત્રી બન્યા. તેઓ સૌથી લાંબા સમય સુધી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિપદે રહ્યા. તેઓ મૂલ્યનિષ્ઠ અને આદર્શ જીવન જીવ્યા. તેમણે કહ્યું કે, નાની-નાની વાતોથી જ વ્યક્તિ મહાન બને છે. નાના-નાના નિયમો અને સિદ્ધાંતો પરિવર્તનનું કારણ બને છે. પૂજ્ય ગાંધીજી અને મોરારજી દેસાઈએ દાખવેલા આદર્શો અને મૂલ્યોના માર્ગે ગુજરાત વિદ્યાપીઠને પ્રગતિના પંથે લઈ જઈએ, એ જ તેમને સાચી અંજલી કહેવાશે.

સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો

આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતરત્ન અને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન ‘નિશાન-એ-પાકિસ્તાન’ બંને મળ્યા હોય એવી એક માત્ર વિરલ વિભૂતિ મોરારજી દેસાઈ દ્રઢ ઈચ્છાશક્તિ ધરાવતા મહામાનવ હતા. સુવિધાઓના અભાવમાં ઉછરેલા મોરારજીએ સંઘર્ષ વેઠી, તપસ્યા કરી, કષ્ટો અને દુઃખો સહન કરીને ઇતિહાસ રચ્યો છે. પ્રાકૃતિક ચિકિત્સાના હિમાયતી એવા મોરારજી દેસાઈ ખાનપાન, દિનચર્યા, પ્રમાણિકતા, આધ્યાત્મિકતા અને ચિંતનથી 99 વર્ષનું પ્રેરણાદાયી જીવન જીવી ગયા. મહામાનવ મોરારજી દેસાઈની ચેતના અને પ્રણામ પ્રણામ પાઠવતાં તેમણે ગુજરાત વિદ્યાપીઠના સંચાલકો અને વિદ્યાર્થીઓને વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે અને ભારતના વૈભવની પુનઃ સ્થાપના માટે સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.

મને મોરારજી દેસાઈના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો

પૂર્વ શિક્ષણ મંત્રી અને ગુજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભારત દેશના અમુક જ એવા આગેવાનો છે, જેમની તિથિની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવે છે. જેમાંથી એક નામ સ્વ.મોરારજી દેસાઈનું છે. તેમણે સ્વ.મોરારજી દેસાઈ સાથેની એક મુલાકાતને યાદ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના એક આંદોલન દરમિયાન લાલદરવાજા ખાતે આયોજિત એક બેઠકમાં મને મોરારજી દેસાઈના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. તેઓ સરળ સ્વભાવના સ્પષ્ટવક્તા તેમજ નિર્મળ હાસ્ય સાથે નિઃસંકોચ પોતાના વિચારો વ્યક્ત કરતા હતા તેમ તેમણે ઉમેર્યું હતું.