Gujarat

જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જળસંચય જન ભાગીદારી બેઠક યોજાઇ

જન જનને આ અભિયાનમા જોડાઈ જિલ્લાને પાણીદાર બનાવવા કલેકટરશ્રીનો અનુરોધ

જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જળસંચય જન ભાગીદારી અભિયાનની બેઠક યોજાઇ હતી. આ બેઠકમા જુદી જુદી સંસ્થાઓના અગ્રણીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

લાંબા સમયગાળા માટેના જળ વ્યવસ્થાપનના સુચારુ આયોજનના ભાગરૂપે વરસાદી પાણીનો સંગ્રહ વધારવા તેમજ ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવા જન જનની ભાગીદારીથી જળ સુરક્ષિત ભવિષ્યને સુનિશ્ચિત કરવા નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો સહિત તમામ વર્ગને જોડી સંગઠિત કરી જિલ્લામાં જળસંચય જન ભાગીદારી અભિયાન સાર્થક કરવા કલેકટરશ્રીએ સંસ્થાઓના અગ્રણીઓને અનુરોધ કર્યો હતો.

ફેક્ટરી, ઘર, બાગ બગીચા, બિલ્ડીંગ, શાળા કોલેજો, ધાર્મિક સ્થળો, જીઆઇડીસી વિસ્તાર સહિત સ્થળો પર જન ભાગીદારીથી જળસંચય કરી રિચાર્જ બોર કરવા, નવા તળાવ વિકસાવવા, જુના તળાવ ઊંડા ઉતારવા વગેરે પર કલેકટરશ્રીએ આ બેઠકમાં ભાર મૂક્યો હતો.

આ ઉપરાંત મનરેગા, સિંચાઈ વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, શિક્ષણ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, મહાનગરપાલિકા  સહિત કચેરીઓને ફાળવેલ લક્ષ્યાંકનું મૂલ્યાંકન કરાયું હતું.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હણેએ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં જળસંચય જન ભાગીદારી અભિયાનની કામગીરી તેમજ લક્ષ્યાંક બાબતે તાલુકા વિકાસ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકમા વિવિધ સંસ્થાઓ જીઆઇડીસી એસોસિએશન, આર્ટ ઓફ લિવિંગ, બિલ્ડર્સ એસોસિએશન, વિવિધ મંડળીઓ, માર્કેટિંગ યાર્ડ સહિત સંસ્થાઓના અગ્રણીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.