Delhi Gujarat

દિલ્હીની આઈ મંત્રા હોસ્પિટલમાં આગની ઘટના, સદનસીબે દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

દેશની રાજધાની દિલ્હીમાં એક મોટી ઘટના બની હતી જેમાં પશ્ચિમ વિહાર સ્થિત આઈ મંત્રા હોસ્પિટલમાં આગ લાગી હતી. આગની માહિતી મળતાં જ ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સદનસીબે દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને કોઈ જાનહાની થઈ ન હતી.

જોકે બીજા માળે રહેલો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. આગ હોસ્પિટલના બીજા માળે લાગી હતી. તમામ દર્દીઓને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં આગ કેવી રીતે લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. શરૂઆતમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ એસીમાં લાગી હતી અને ત્યારબાદ તે આખા ફ્‌લોર પર ફેલાઈ ગઈ હતી. ફનિર્ચર અને અન્ય સામાન બળી ગયો હતો.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે શનિવારે રાત્રે દિલ્હીની એક હોસ્પિટલમાં લાગેલી આગમાં ૭ બાળકોના જીવ ગયા હતા. વિવેક વિહારની બેબી કેર હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ દિલ્હી સરકાર હોસ્પિટલોમાં ફાયર સેફ્‌ટીની તપાસમાં વ્યસ્ત છે. દરમિયાન વધુ એક ઘટનાએ ચિંતા વધારી દીધી છે.