ગૌરીવ્રતનું હિન્દુ ધર્મમાં અનેરુ મહત્વ છે. શિવ અને શક્તિ બંનેની સંયુક્ત પૂજા કરવાનો ગૌરી વ્રતમાં મહિમા છે. ખાસ કરીને ગૌરી વ્રત 6 વર્ષથી 14 વર્ષ સુધીની ઉંમરની કુમારિકાઓ કરતી હોય છે.
આ પાંચ દિવસીય પર્વ મુખ્યત્વે ગુજરાતમાં ઉજવાય છે. વાંસની ટોપલીઓમાં છાણીયું ખાતર નાંખી તેમાં સાત પ્રકારનાં ધાન્ય વાવી તેની દૈનિક ભાવપૂર્વક પૂજા કરવામાં આવે છે. છેલ્લાં દિવસે આખી રાત જાગરણ કરી બીજા દિવસે સવારે આ જ્વારાનું જળાશયમાં વિધિવત વિસર્જન કરવાની પ્રણાલી છે. આ પરંપરાગત વ્રત કરીને જ્વારા વિસર્જન પૂર્વે મનોમન હરખાતી કુમારિકાઓનું એક વૃંદ અંકલેશ્વરની શરણમ્ સોસાયટીનાં નાકે કેમેરામાં કેદ થયું તે વેળાની તસવીર.

