અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું તાળું તસ્કરોએ તોડ્યુ હોવાનું સામે આવ્યું છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, મહત્વના દસ્તાવેજો ચોરાયા હોવાની અમને શંકા છે. જો કે, આ મામલે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. પાર્ટી દ્વારા શેની શેની ચોરી થઈ છે તે વિગત સાથે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
આમ આદમી પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં સામાન્ય માણસ તો છોડો રાજનૈતિક પાર્ટીના કાર્યાલય પણ સુરક્ષિત નથી. દિવાળી વેકેશન હોય મોટાભાગના કર્મચારીઓ રજા પર છે.

ત્યારે કાર્યાલયની દેખભાળ કરતો કર્મચારી બપોરે કાર્યાલયને તાળુ મારીને પોતાના સંબંધીને ત્યાં ગયો હતો. સાંજે 7 વાગ્યે કાર્યાલય પર પરત ફરતા પાર્ટી કાર્યાલયના મુખ્ય દરવાજાનું તાળુ તુટેલી હાલતમાં હતું. ત્યારબાદ આ કર્મચારી દ્વારા પાર્ટીના અન્ય પદાઘિકારીઓને જાણ કરાતા તેઓ કાર્યલય પર પહોંચ્યા હતા અને 100 નંબર કોલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી.

