નડિયાદમાં તાજેતરમાં જ એક જર્જરિત દુકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. જોકે, તે પહેલાં જ પાલિકા દ્વારા શહેરની જોખમી દુકાનોને નોટિસ આપીને તાકિદ કરાઈ હતી. સરદાર પટેલની પ્રતિમાથી લઇને માઇ મંદિરના વળાંક સુધીની 70 દુકાનના દુકાનદારોને દરસાલની જેમ આ વખતે પણ નોટિસ ફટકારી ખાનાપૂર્તિ કરી છે. આ નોટિસ સ્વીકારી દુકાનદારોએ પણ તેમની જવાબદારી પૂરી છે. ત્યારે આ અંગે નક્કર કાર્યવાહી કયારે કરાશે તે યક્ષ પ્રશ્ન છે.
નડિયાદમાં દુકાનોનો પ્રશ્ન છેલ્લા લાંબા સમયથી સળગતો પ્રશ્ન બની ગયો છે. એક તરફ પાલિકા વિરૂધ્ધ ભાડુઆત દુકાનદારોની લડત તો બીજી તરફ બિસ્માર દુકાનોની મરામતના મામલાને લઇને ઉભા થયેલા વિવાદને પગલે દુકાનદારો અને પાલિકા વચ્ચે છેલ્લા લાંબા સમયથી તકરાર ચાલી રહી છે. ત્યારે પાલિકા દ્વારા શહેરની જર્જરિત મિલ્કતોને નોટિસ અપાઇ છે તે રીતે શહેરના સરદાર પટેલની પ્રતિમાથી લઇને માઇ મંદિરના વળાંક સુધીની 70 જેટલી દુકાનને પણ નોટિસ આપી છે. જોકે, દરસાલ જેમ મિલ્કતધારકો નોટિસ લઇ લે છે તે રીતે દુકાનદારોએ પણ નોટિસ સ્વીકારી લીધી છે. પ
રંતુ આ દુકાનો જર્જરિત હાલતમાં ફેરવાઇ હોવાછતાં તેના જોખમી ભાગને ઉતારવામાં તંત્રની બેદરકારી કોઇ દુર્ઘટનાને આમંત્રણ આપનારી સાબિત થઇ શકે છે. હાલમાં જે દુકાનોને પાલિકાએ નોટિસ આપી હતી તેમાંથી મહત્તમ દુકાનોની પેરાફીટ જોખમી હાલતમાં છે. આ માર્ગ દિવસ – રાત વાહનોની અવરજવરથી ધમધમતો હોય છે. તે દરમિયાન જો કોઇ દુર્ઘટના ઘટે તો જાનમાલને નુકસાન થવાની પણ ભિતી જોવા મળે છે. ત્યારે પાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ દુકાનોનો જોખમી ભાગ ઉતારાવી લેવામાં આવે તે જરૂરી છે. તાજેતરમાં જ સોશિયલ ક્લબ રોડ ઉપર દુકાનની પેરાફીટ ધરાશાયી થઇ હતી તાજેતરમાં જ સોશિયલ ક્લબ રોડ ઉપર આવેલી એક દુકાનની પેરાફીટ રાત્રિના સમયે ધરાશાયી થઇ હતી. જેમાં એક વ્યક્તિને ઇજા થઇ હતી. આ ઘટના બાદ નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસરે જાતે સ્થળ પર જઇને સુરક્ષાની બાબતને ધ્યાનમાં રાખીને અન્ય દુકાનોને પણ બંધ કરાવી હતી.
જોકે બાદમાં ગણતરીના કલાકોમાં જ દુકાનો ફરી ખુલી ગઇ હતી. રેલ્વે સ્ટેશન રોડ પરની 13 દુકાનોની લડત યથાવત રેલ્વે સ્ટેશન રોડ ઉપર ટાઉન પોલીસ મથકની સામે આવેલી 13 દુકાનોના પ્રશ્નને લઇને હજીપણ દુકાનદારો અને પાલિકા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વિકાસના કામને અનુલક્ષીને, સીટી બસનું કમર્શિયલ કોમ્પલેક્ષ બનાવવા માટે આ દુકાનોને તોડી પાડવાનું પાલિકાનું આયોજન છે પરંતુ ભાડુઆતો આ દુકાનો મામલે લડી લેવાના મૂડમાં છે.
ભાડાપટ્ટે અપાયેલી 600 દુકાનનો પ્રશ્ન હજી પણ વણઉકલ્યો પાલિકા હસ્તકની અને ભાડાપટ્ટે અપાયેલી દુકાનોનો પ્રશ્ન પણ હજી વણઉકલ્યો છે. સમગ્ર મામલે ભાડુઆતો દ્વારા લડત આપવામાં આવી રહી છે. જોકે, પાલિકા આ મિલ્કત પોતાની હોવાથી તેને ખાલી કરાવવાના મૂડમાં છે અને ભાડુઆતો આ દુકાન ખાલી કર્યા બાદ ઓક્શન કરીને પરત મળે તેમ કરવા પાલિકાને જણાવી રહ્યા છે. જેને લઇને આ મામલે પણ વિવાદ ચાલી રહ્યો છે.

