૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કૂલ ૯૬ બેઠકો પર થશે મતદાન
લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ત્રણ તબક્કા માટે મતદાન થયું છે અને ચોથા તબક્કા માટે આજે (૧૩ મે)ના રોજ મતદાન થવાનું છે, જેના માટે શનિવારે (૧૧ મે)થી ચૂંટણી પ્રચાર બંધ થઈ ગયો હતો. આ તબક્કામાં ૧૦ રાજ્યોની કુલ ૯૬ બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં આંધ્રપ્રદેશની ૨૫ બેઠકો તેમજ તેલંગાણાની તમામ ૧૭ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, ઉત્તર પ્રદેશમાં ૧૧, મહારાષ્ટ્રમાં ૧૧, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ૮-૮, બિહારમાં ૫, ઓડિશા અને ઝારખંડમાં ૪-૪ અને જમ્મુ-કાશ્મીરમાં એક બેઠકનો સમાવેશ થાય છે. ચોથા તબક્કાની સમાપ્તિ સાથે, ૨૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે.
ચોથા તબક્કાના મુખ્ય અને દિગ્ગજ ઉમેદવારોની વાત કરીએ તો કન્નજથી અખિલેશ યાદવ, શ્રીનગરથી ઓમર અબ્દુલ્લા, બેગુસરાયથી કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, બહેરામપુરથી અધીર રંજન ચૌધરી, કૃષ્ણનગરથી મહુઆ મોઇત્રા, આસનસોલથી શત્રુઘ્ન સિન્હા, હૈદરાબાદથી અસદુદ્દીન ઓવૈસી. અને વાયએસ શમિર્લાનો સમાવેશ થાય છે.
આ બેઠકોમાં હૈદરાબાદને હોટ સીટ માનવામાં આવે છે જ્યાંથી ભાજપે માધવી લતાને ઉમેદવાર બનાવ્યા છે. આ વખતે અસદુદ્દીન ઓવૈસીની સ્પર્ધા માધવી લતા સાથે છે. આ સિવાય કન્નૌજ સીટને સમાજવાદી પાર્ટીનો ગઢ માનવામાં આવે છે, ત્યાંથી અખિલેશ યાદવનો મુકાબલો વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર સુબ્રત પાઠક સાથે છે.
પશ્ચિમ બંગાળની બહેરામપુર સીટ પર પણ રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે કારણ કે, તૃણમૂલ કોંગ્રેસે કોંગ્રેસના ઉમેદવાર અધીર રંજન ચૌધરી સામે પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. સાક્ષી મહારાજને ઉન્નાવથી સપા-કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર અનુ ટંડન સામે ટક્કર આપવા જઈ રહી છે, જ્યારે માયાવતીની પાર્ટી બસપાએ અહીંથી અશોક કુમાર પાંડેને ટિકિટ આપી છે. ઉન્નાવ લોકસભા સીટ હંમેશા ભાજપના ઉમેદવાર સાક્ષી મહારાજના કારણે ચર્ચામાં રહે છે.

