ભારતીય જનતા પાર્ટીના નેતા અને અમરેલી સાંસદ નારણ કાછડિયાએ પાર્ટી સામેજ બળાપો કાઢયો હોય તેવો કિસ્સો બન્યો હતો જેમાં સાવરકુંડલા ખાતે આયોજીત એક કાર્યક્રમમાં પક્ષના કાર્યકરોની લાગણીને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો. સાંસદ નારણ કાછડીયાએ કહ્યું હતું કે, કોંગ્રેસમાંથી સવારે ભાજપમાં આવે, બપોરના સમયે ખેસ પહેરે અને બીજા દિવસે પ્રધાન પણ બની જાય છે.
પાર્ટીને મોટી કરવામાં આવે તેની સામે કોઈને વાંધો ના હોય પરંતુ ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તાના ભોગે પાર્ટી મોટી કરવી જોઈએ નહીં. સાંસદ નારણ કાછડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ૩૫ વર્ષથી બુંગણ પાથરતો કાર્યકર્તા હોય તેની સામે બહારથી આવેલા નેતાને ટિકિટ આપો અને સંનિષ્ઠ કાર્યકર્તા સામે બેઠેલો હોય છે.
અમરેલીમાં દોઢ લાખ મત ઓછા પડ્યા છે તેમાં કાર્યકર્તાઓની નારાજગી જવાબદાર છે. ભાજપમાં અનેક મજબૂત ચહેરા હતા, પરંતુ અહીં બોલી ન શકે તેવા ઉમેદવારને ટિકિટ આપીને કાર્યકર્તાઓ સાથે દ્રોહ કર્યો છે.

