વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી મહાશિવરાત્રિ નિમિતે તા. 08 માર્ચ 2023ને શુક્રવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શૃંગાર કરી સવારે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી અને મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી નિલકંઠ મહાદેવ મંદિરને ફૂલોથી વિશેષ શણગાર કરી મંદિરમાં રાત્રે 10થી 12 કલાક દરમિયાન પૂજન-અર્ચન-મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે કોઠારી સ્વામી વિવેકસાગરદાસ (અથાણાવાળા) દ્વારા મંદિર પરિસરમાં આવેલાં નિલકંઠ મહાદેવ મંદિરમાં ભગવાન શિવની વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી. જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે કોઠારી સ્વામી વિવેકસાગરદાસે જણાવ્યું કે, આજે મહાશિવરાત્રીનું પર્વ છે. ભગવાન શિવના અંશ અવતાર હનુમાનજી મહારાજને વિશેષ વાઘા ધરાવી અને સિંહાસનનો શણગાર કરવામાં આવ્યો છે. અહીં મંદિર પરિસરમાં સ્વંય સ્વામિનારાયણ ભગવાને પૂજા કરેલા નિલકંઠ મહાદેવ મંદિરમાં પૂજા કરવામાં આવી હતી. સર્વે ભક્તો સુખી થાય એવી ભગવાન મહાદેવને અભિષેક કરીને પ્રાર્થના કરી છે. દાદાના આ દર્શનનો લ્હાવો લઈને ભક્તોએ ધન્યતા અનૂભવી હતી.




