Gujarat

રાજકોટમાં જન્માષ્ટીના 5 દિવસના લોકમેળામાં 25 લાખથી વધુ લોકો ઊમટશે, સુરક્ષા માટે બનાવ્યા અધધ…44 નિયમ

રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ પ્રથમ વખત જન્માષ્ટમી મેળો યોજાઈ રહ્યો છે. શહેરના રેસકોર્સ મેદાનમા આગામી 24થી 28 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ લોકમેળાનુ આયોજન કરવામા આવ્યું છે.

આ પાંચ દિવસના લોકમેળામાં રોજ 5થી 6 લાખ લોકો મેળાને મહાલે છે. એટલે કે, 5 દિવસમાં 25 લાખથી વધુ લોકો આ મેળાની મુલાકાત લે છે. લોકમેળામાં કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે વહિવટી તંત્ર દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પ્લોટધારકો માટે વહીવટી તંત્રએ 44 નિયમો બનાવ્યા છે અને નિયમોનું પાલન કરવા સોગંદનામુ કરવું ફરજિયાત છે.

પ્લોટધારકોએ સોગંદનામામાં શું બાંયેધરી આપવાની રહેશે

લોકમેળા સમિતિ દ્વારા આપવામાં આવેલ ફોર્મની કુલ 1થી 44 શરતો રાખવામાં આવેલ છે. આ તમામ શરતો/સુચનાઓ મેં વાંચેલ છે. તેનો ચૂસ્તપણે અમલ કરવા હું બાંહેધરી આપું છું. તેમજ ભવિષ્યમાં આ બાબતે કાંઈપણ બનાવ બનશે તેની બધી જ જવાબદારી અમારી રહેશે તે બાબતે હું આ સોગંદનામું કરી આપું છું.

તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ તથા હવે પછી કોઈ એસઓપી જાહેર કરવામાં આવે તો તે મુજબની શરતોનું પાલન કરવા આથી હું બાંહેધરી આપું છું. આ સોગંદનામું રૂ. 50ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝ કરાવી ફોર્મ સાથે ફરજિયાત જમા કરાવવાનું રહેશે, અન્યથા આપની અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.

આ 44 નિયમોનું પાલન કરવું ફરજિયાત

1. લોકમેળા સમય સવારે 8થી રાત્રિના 11 વાગ્યા સુધીનો રહેશે.

2. સ્ટોલ/પ્લોટધારકે અસલ કબજા પાવતી એલોટમેન્ટ લેટર, ઓળખપત્ર લોકમેળા દરમિયાન સ્ટોલ/પ્લોટ ઉપર સતત રાખવાનું રહેશે. તેમજ સ્ટોલ/પ્લોટ ટ્રાન્સફર થઈ શકશે નહીં અને ટ્રાન્સફર થયાનું માલુમ પડ્યે ડિપોઝીટ જપ્ત કરવામાં આવશે. જે અંગે કોઈ તકરાર ચાલી શકશે નહિ.

3. સ્ટોલમાં વેચાતા માલ/ખાદ્ય પદાર્થો વગેરેના ભાવ બજારભાવ પ્રમાણે રાખવાના રહેશે અને જાહેરમાં દેખાય તે રીતે ભાવના બોર્ડ મૂકવાના રહેશે.

4. કોઈ સ્ટોલધારક દ્વારા મહતમ વેચાણ કિંમત (MRP)થી વધારે કિંમત વસૂલ કરવામાં આવશે તથા અન્ય કોઈ પ્રકારે ગ્રાહક સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ મળશે તથા આ બાબતે અન્ય કોઈ ગેરરીતિ માલુમ પડશે તો એલોટમેન્ટ લેટર રદ કરવામાં આવશે અને ડિપોઝીટ જપ્ત કરવામાં આવશે.

5. સ્ટોલ/પ્લોટની અંદરનો માલસામાન સાચવવાની જવાબદારી જે-તે સ્ટોલ રાખનારની રહેશે.

6. સંજોગોવસાત વીજળી પૂરવઠો ખોરવાઈ જાય તો સ્ટોલ હોલ્ડરે પોતે પોતાની રીતે વૈકલ્પિક સગવડતા રાખવી પડશે.

7. કોઈપણ જાતના અકસ્માત અંગેની સમિતિની કોઈપણ જાતની જવાબદારી રહેશે નહિ.

8. જે હેતુ માટે સ્ટોલ/પ્લોટ માગણી કરવામાં આવી હશે તે હેતુ માટે જ સ્ટોલ/પ્લોટનો ઉપયોગ કરવાનો રહેશે.

9. સ્ટોલ/પ્લોટ જે સ્થિતિમાં સોંપવામાં આવેલ હશે તે જ સ્થિતિમાં મેળો પૂરો થયા પછી પાછો સોંપવાનો રહેશે.

10. કોઈપણ સ્ટોલ/પ્લોટ પર જુગારની વ્યાખ્યામાં આવે કે અનૈતિક લાગે તેવી રમતને પરવાનગી આપવામાં આવશે નહિ. આવી કોઈ પ્રવૃત્તિ સ્ટોલમાં ચાલતી દેખાશે તો તાત્કાલિક સ્ટોલ ખાલી કરાવવામાં આવશે અને ડિપોઝીટની રકમ તથા ભાડાની રકમ જપ્ત કરવામાં આવશે.

11. દરેક સ્ટોલ/પ્લોટ હોલ્ડરોએ પોતાના ધંધાને લગતા એવા જરૂરી લાયસન્સો, પરવાનગી અથવા પરમીટો જે-તે કાયદા નીચે સંબંધિત ખાતા પાસેથી મેળવી લેવાના રહેશે અને તે સ્ટોલનો કબજો લેતી વખતે સમિતિને બતાવવાના રહેશે.

12. કોવિડ અથવા કોઈપણ કારણસર લોકમેળો ચાલુ થયા પહેલા બંધ રાખવાની ફરજ પડે તો તમામ ખર્ચ બાદ કરીને બાકીની રકમ જે રહેશે તે પરત કરવામાં આવશે. જેમાં કોઈપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહિ. પરંતુ મેળો ચાલુ થાય પછી કોઈપણ કારણોસર મેળો બંધ રહે તો ભાડાની રકમ પરત મળશે નહિ.

13. સ્ટોલ પ્લોટધારકોએ કચરાના નિકાલ માટે સ્ટોલ પાસે કચરાપેટી રાખવી ફરજિયાત છે અને ભેગો થયેલો કચરો આરએમસીની કચરો નિકાલ કરવાની પેટીમાં નાખવાનો રહેશે. ચૂક કરનાર આરોગ્ય સમિતિ દ્વારા દંડને પાત્ર ઠરશે.

14. કેફી પદાર્થ, માંસાહારી પદાર્થ, ઈંડા કે તેની બનાવટનું તેમજ સ્ફોટક વસ્તુઓનું વેચાણ લોકમેળામાં થઈ શકશે નહિ.

15. મેળામાં મેળાના સમય દરમિયાન કોઈપણ જાતનું વાહન લાવવા દેવામાં આવશે નહિ.

16. સ્ટોલ/પ્લોટમાં દરેક પ્રકારે ચોખ્ખાઈ રાખવાની રહેશે, આજુબાજુમાં કોઈપણ પ્રકારની ગંદકી થઈ શકશે નહીં તેમજ વેચવાની થતી વસ્તુ સારી ગુણવત્તાવાળી અને વ્યાજબી ભાવવાળી હોવી જોઈએ.

17. સ્વચ્છતા તથા આરોગ્ય અંગેના સરકારના પ્રવર્તમાન નીતિ નિયમોનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

18. દરેક સ્ટોલ/પ્લોટ હોલ્ડરે અગ્નિશમન સાધનો પોતાના ખર્ચે રાખવાના રહેશે.

19. સ્ટોલ તથા માલ સામાનનો વિમો ઉતારી લેવાની જવાબદારી મંજૂર થયેલ સ્ટોલ હોલ્ડર/પ્લોટ ધારકની રહેશે.

20. ઈલેક્ટ્રિસિટી બાબતે લોકમેળા સમિતિએ નક્કી કરેલા નિયમોનું પાલન કરવાનું રહેશે જે નીચે મુજબ છે.

(20.1) અધિકૃત અધિકારી દ્વારા જરૂરી વાંધા પ્રમાણપત્ર મેળવ્યા બાદ તેમજ જરૂરી કનેક્શન મંજૂરી મેળવ્યા બાદ જ લાઈટ પૂરવઠાનો ઉપયોગ કરી શકાશે. અનધિકૃત રીતે વિદ્યુત પૂરવઠાનો ઉપયોગ કરી શકાશે નહીં. દરેક સ્ટોલ/પ્લોટ માટે સમિતિ તરફથી લાઈટ માટે એક પોઈન્ટ આપવામાં આવશે. જેમાંથી 100 વોલ્ટ ઉપયોગ કરી શકાશે અને તેમાં સમિતિની લેખિત પૂર્વ મંજૂરી વિના ફેરફાર કરી શકાશે નહીં. એકસ્ટ્રા લાઈટ ચાર્જ અલગ લેવાશે. સમિતિની લેખિત પૂર્વ મંજૂરી તેના વધારે વોલ્ટનો ઉપયોગ કરવામાં આવશે તો તે હોલ્ડરનો પ્લોટ ખાલસા કરવામાં આવશે અને ભાડુ તથા ડિપોઝિટની રકમ જપ્ત કરવામાં આવશે.

(20.2) દરેક સ્ટોલના માલિકોને સિંગલ ફેઈઝ અથવા થ્રી ફેઈઝ વીજ જોડાણમાં જરૂરિયાત મુજબ નક્કી થયેલ જગ્યા પ્રમાણે આપવામાં આવશે અને ત્યાંથી સ્ટોલના માલિકોએ તેમનાં વિદ્યુત ઉપકરણોના જોડાણની વ્યવસ્થા સ્ટોલનાં માલિકોએ પોતે અધિકૃત ઈલેક્ટ્રિક કોન્ટ્રાક્ટરો મારફત કરાવવાની રહેશે.

(20.3) દરેક સ્ટોલના માલિકોએ તેમનાં વિદ્યુત જોડાણનાં લોડની વિગત તથા તેઓએ રાખેલ ઈલેક્ટ્રિક સ્ટાફનાં નામે પરમીટ નંબર લેખિતમાં લોકમેળા વિદ્યુત સમિતિને આપવાના રહેશે. તેમજ તેઓએ કરાવેલ વાયરિંગ ટેસ્ટ રિપોર્ટ પણ લોકમેળા વિદ્યુત સમિતિને આપવાનો રહેશે. ત્યારબાદ જ તેમનું વીજ-જોડાણ ચાલુ કરવામાં આવશે.

(20.4) દરેક સ્ટોલના માલિકે તેઓએ કરાવેલ આંતરિક વાયરિંગની ખામી અથવા ખામીવાળા ઉપકરણને લીધે શોર્ટ સર્કિટ થશે અથવા કોઈ અકસ્માત થશે તો તે તેના માટે સ્ટોલનાં માલિક પોતે જવાબદાર ગણાશે.

(20.5) યાંત્રિક આઈટમ ફજત, આઈસ્ક્રિમ ચોકઠા જેમાં વિદ્યુત ઉપકરણો વપરાશમાં હશે તેનાં સ્ટોલોનાં માલિકોએ પોતાના ખર્ચે જરૂરી કેપેસિટીની ઈ.એલ.સી.બી. ચાલુ કન્ડિશનમાં ગેઈન સપ્લાયમાં મૂકવી ફરજિયાત છે. તેની ચકાસણી વિદ્યુત નિરીક્ષક અથવા તેમના પ્રતિનિધિ પાસેથી કરાવી લેવાની રહેશે. જો આ અંગે કોઈ વિવાદ ઉપસ્થિત થશે તો અત્રેનો નિર્ણય આખરી મનાશે.

(20.6) આકસ્મિક સંજોગોમાં જો જીઈબી તરફથી વીજ-પૂરવઠામાં વિક્ષેપ પડશે તે દરમિયાન સ્ટોલોમાં વીજ-પૂરવઠા મળી શકશે નહીં અને વીજ પૂરવઠાના અભાવે આઈસ્ક્રિમ સ્ટોલવાળા, ઠંડા-પીણાનાં સ્ટોલવાળાનાં માલને કોઈ નુકસાની થશે તો તેની જવાબદારી લોકમેળા સમિતિની રહેશે નહીં.

(20.7) સ્ટોલ/પ્લોટધારકો તરફથી કાયદેસરના વીજ પૂરવઠા કરતા વધારે વીજ પૂરવઠાનો ગેરકાયદેસર ઉપયોગ કરશે તે સ્ટોલ/પ્લોટને અપાતી ઈલેક્ટ્રિક સમિતિ રદ કરવામાં આવશે અને ડિપોઝીટ જપ્ત કરવામાં આવશે તથા બ્લેક લીસ્ટમાં મુકવામાં આવશે.

(20.8) ઈલેક્ટ્રિક સમિતિ દ્વારા ઈલેક્ટ્રિકની જરૂરિયાત મુજબ સમિતિ તરફથી જે ચાર્જ નક્કી થાય તે મુજબ રકમ ઈલેક્ટ્રિક સમિતિને ભરપાઈ કરવાની રહેશે.

21. કેટેગરી જે મધ્યમ ચકરડી તથા કેટેગરી કેન્દ્ર, કે-2 નાની ચરકડી માટે પ્રવેશ દર મહત્તમ રૂ.30 તેમજ કેટેગરી ઈ, એફ, જી-1, જી-2, એચ યાંત્રિક આઈટમોના પ્રવેશ દર મહત્તમ રૂ.40 લેવાના રહેશે. તેમ છતા કોઈ પણ પ્લોટધારકો દ્વારા પ્રવેશ દર નક્કી કરેલ મહત્તમ પ્રવેશ દર કરતાં વધુ લેતા જણાશે તો તેવા સંજોગોમાં તાત્કાલિક વગર નોટિસે જગ્યા ખાલી કરાવવાનો અધિકાર લોકમેળા સમિતિને રહેશે. તેમાં કોઈપણ વાંધો તકરાર ચાલશે નહિ. તેમજ ડિપોઝીટ તથા ભાડાની સ્કમ જપ્ત કરવામાં આવશે.

22. જેના નામે પ્લોટ/સ્ટોલ મંજૂર થયેલ હોય તે અંગે પ્લોટ/સ્ટોલ રાખનારનું પુરૂ નામ, સરનામું, સ્ટોલ નંબર તથા સ્ટોલ/પ્લોટનાં હેતુ દર્શાવતું બોર્ડ લોકો જોઈ શકે તે રીતે સ્ટોલ/પ્લોટ ઉપર મૂકવાનું રહેશે અને સ્ટોલધારકોને આપેલ ઓળખકાર્ડ સ્ટોલ ઉપર જ રાખવાનું રહેશે.

23. મેળામાં ઉપયોગમાં લેવાનાર યાંત્રિક સાધનો ધરાવનારે યાંત્રિક સાધનના માલિકનું પુરૂ નામ, સરનામું તથા પાસપોર્ટ સાઈઝના ફોટા સાથેની માહિતી કાર્યપાલક ઈજનેર યાંત્રિક માર્ગ અને મકાન વિભાગ (શહેર) રાજકોટ શહેરને આપવાની રહેશે અને આ તમામ યાંત્રિક સાધનોની ચકાસણી સાધનદીઠ ચકાસણી ફી નક્કી થવા મુજબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન શહેર વિભાગ, રાજકોટ શહેર પાસે જમા કરાવીને ઉપયોગમાં લેવાનાં બે દિવસ અગાઉ ચકાસણી કરાવી લેવાની રહેશે. આ અંગેની તેઓની પાસે યંત્રની યોગ્યતાનું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે અને તે સ્પષ્ટ જોઈ શકાય તે રીતે પ્રસિદ્ધ કરવાનું રહેશે. આગ, અકસ્માત અંગે જે-તે પ્લોટ ધારકે વીમો ઉતરાવવાનો રહેશે. ત્યાબાદ જ યાંત્રિક સાધનો વાપરવા દેવામાં આવશે.

24. ડ્રો/હરાજીમાં નિયત તારીખ સુધીમાં ફોર્મ રજૂ કરનાર વ્યક્તિ જ ભાગ લેવા લાયક ગણાશે, હરાજી બાદ તફાવતની રકમ દિવસ એકમાં ભરપાઈ કરવાની રહેશે. સમિતિના બાકીદાર હશે તે લોકમેળામાં સ્ટોલ/પ્લોટ મેળવવા લાયક ગણાશે નહીં.

25. લોકમેળાની મુદતમાં વધારો કરવામાં આવે તો વધારાના દિવસના ભાડાની રકમ અધ્યક્ષ, લોકમેળા સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે તે રકમ લોકમેળા સમિતિમાં જમા કરાવવાની રહેશે.

26. કોઈપણ સ્ટોલ/પ્લોટ ઉપર કોઈપણ પ્રકારની જાહેરાતના હક્કો લોકમેળા સમિતિના જ રહેશે. સ્ટોલ/પ્લોટધારકો સ્ટોલના બહારના ભાગમાં પરવાનગી વગર કોઈપણ પ્રકારની જાહેરાતનું બેનર-બોર્ડ રાખી શકશે નહીં.

27. કોઈપણ પ્લોટ/સ્ટોલધારકો માઈક-સાઉન્ડનો કે ધ્વનિ વર્ધક કોઈપણ સાધનનો ઉપયોગ પરવાનગી વિના કરી શકશે નહીં.

28. લોકમેળાના તમામ સ્ટોલ/પ્લોટ ધારકોએ સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર નક્કી થયેલ દર મુજબ GST કે અન્ય લાગુ પડતા કરવેરા, ફી, ટેક્સ વગેરેની ભરવાપાત્ર એડવાન્સ રકમ ભરવાની રહેશે.

29. ઉપરોક્ત શરતો પૈકી કોઈપણ શરતનું ઉલ્લંઘન થયે તાત્કાલિક અમલીકરણ અધિકારી ઉલ્લંધન કરનારને લોકમેળામાંથી દૂર કરવામાં આવશે અને જે કાંઈ ભાડું કે ડિપોઝીટ ભરેલ હશે તે ખાલસા થશે.

30. સમિતિ મારફત મળેલ સ્ટોલ/પ્લોટ અથવા તો જગ્યા સિવાયની વધારાની જગ્યા ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવશે તો તાત્કાલિક વગર નોટિસે સ્ટોલ અથવા જગ્યા ખાલી કરાવવામાં આવશે, તેમજ ડિપોઝીટ તથા ભાડાની રકમ પણ જપ્ત કરવામાં આવશે.

31. સ્ટોલ/પ્લોટ અંગેના નિયમો, કાયદા આધારિત નિયમો તથા લોકમેળા સમિતિ તરફથી સંજોગો અનુસાર જે નિયમો હવે પછી બહાર પાડવામાં આવે તે પ્લોટ/સ્ટોલધારકને માન્ય અને બંધનકર્તા છે.

32. મેળાની તારીખમાં, સમયમાં તેમજ કોઈપણ જાતની કાર્યવાહીમાં ફેરફાર કરવાનો લોકમેળા સમિતિને હક્ક છે તે માટે કોઈપણ જાતનો વાંધો, તકરાર ચાલશે નહીં અને લોકમેળા સમિતિનો નિર્ણય આખરી નિર્ણય ગણાશે. તેમજ લોકમેળા સમિતિની સૂચનાનો અમલ કરવાનો રહેશે.

33. કોઈપણ મતભેદ સમયે કલેક્ટર અને અધ્યક્ષ-લોકમેળા સમિતિ રાજકોટનો નિર્ણય આખરીને બંધનકર્તા રહેશે.

34. જે-તે પ્લોટ/સ્ટોલધારકે ડસ્ટબીન મુકવાની રહેશે.

35. સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહિ.

36. કોઈપણ રાઈડ્સ-પ્લોટ ધારકોએ કેબિન રાખવી નહિ તેમજ રાત્રે ત્યાં કોઈ અનધિકૃત વ્યક્તિ કે મજૂર રોકાણ કરી શકશે નહિ.

37. જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ વગર કોઈપણ રાઈડ્સ ચાલુ કરી શકાશે નહિ.

38. રાઈડધારકોએ જરૂરી લાયકાત ધરાવતા કન્સલ્ટન્ટ પાસેથી ટેસ્ટ રિપોર્ટ મેળવ્યા બાદ જ આર એન્ડ બી ઈલેક્ટ્રિકલ તેમોને વીજ કનેક્શન આપશે.

39. તમામ રાઈડ/સ્ટોલધારકોએ સ્વખર્ચે ELCB /RCCB લગાવવાની રહેશે.

40. નાની ચકરડીઓ માટેના પ્લોટમાં ફક્ત નોન ઈલેક્ટ્રિક રાઈડ્સ એટલે કે, હાથેથી ચાલતી ચકરડીઓ જ મુકવાની રહેશે. કોઈપણ પ્રકારનો ઈલેક્ટ્રિક સપ્લાય મેળવી શકાશે નહિ.

41. દરેક સ્ટોલ/રાઈડધારકો પૈકી નાના પ્લોટ/રાઈડધારકોએ (1) ફાયર અગ્નિશામક તેમજ મોય પ્લોટ/સાઈડધારકોએ (2) ફાયર અગ્નિશામક ફરજિયાત પણે મૂકવાના રહેશે. તેમજ તેના ઉપયોગ માટેની જરૂરી તાલીમ સ્વખર્ચે મેળવી લેવાની રહેશે.

42. તમામ રાઈડ/પ્લોટધારકોએ ફરજિયાતપણે CCTV કેમેરા લગાવવાના રહેશે તેમજ તેનું રેકોર્ડિંગ 30 દિવસ સુધી સાચવી રાખવાનું રહેશે.

43. રાઈડ ધારકો/સંચાલકોએ રાઈડ્સ પર કોઈપણ પ્રકારનું વધારાનું ઈલેક્ટ્રોનિક કે લાઈટિંગનું ડેકોરેશન કરવું નહિ કે આર એન્ડ બી ઈલેક્ટ્રિક વિભાગના સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય કોઈપણ પ્રકારનું વધારાનું વાયરિંગ કરવું નહિ

44. આ સાથે સામેલ નિયત નમૂના મુજબનું બાહેંધરી પત્રક ભરી તેમાં ઈલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝરના સહી-સિક્કાથી પ્રમાણિત કરી વિદ્યુત નિરીક્ષક, રાજકોટની કચેરીએ જમાં કરાવવાનું રહેશે. વિદ્યુત નિરીક્ષક પાસેથી નો-ઓબ્જેક્શન સટિફિકેટ (NOC) મેળવ્યા બાદ જ વિદ્યુત સપ્લાય ચાલુ કરવામાં આવશે. ઉપર મુજબના નિયમો મેં પૂરેપુરા વાંચેલ છે અને તે નિયમો અમોને માન્ય છે તે બદલ નીચે સહી કરી આપેલ છે.