દાતાર રોડમાં ભૂગર્ભ ગટરના કનેકશન માટે રસ્તા ખોદાયા છે. હાલ દિવાળીનો તહેવાર નજીક આવ્યો છતાં શહેરમાં ખોદકામ શરૂ રખાયું હોય પરિણામે લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે. શહેરમાં જ્યારથી ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરાયું છે ત્યારથી શહેરના રસ્તા અનેક વખત ખોદાયા છે.
આવું જ દાતાર રોડ પર બની રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દાતાર રોડ પર અગાઉ ભૂગર્ભ ગટર માટે ખોદકામ કરાયું હતું. ભૂગર્ભ ગટર નંખાઇ ગયાના લાંબા સમય બાદ હવે ફરી જેસીબીની મદદથી ખોદકામ કરાઇ રહ્યું છે.
હવે ભૂગર્ભ ગટરની ચેમ્બર બનાવવા માટે ખોદકામ કરાઇ રહ્યું છે જેથી ગલીઓની ગટરના કનેકશન આ મેઇન ચેમ્બર દ્વારા ભૂગર્ભ ગટરની નવી લાઇનમાં જોડી શકાય.
આમાં દાતાર રોડ પરની શ્યામ ચેમ્બરથી લઇને દુબળી પ્લોટ પોલીસ લાઇન પાછળ થઇ દાતાર રોડની મુખ્ય ગટરમાં જોડાણ કરાશે.હાલ દિવાળીના દિવસો નજીક છે ત્યારે આ ખોદકામથી લોકોની હાલાકી વધશે તેમ સ્થાનિક લોકોએ જણાવ્યું છે.

