આજ રોજ પ્રિ વોકેશનલ એજ્યુકેશન કાર્યક્રમ અન્વયે માણાવદરની પે સેન્ટર શાળા 2 ના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ માણાવદર ખાતે રેલવે સ્ટેશન રોડ પર આવેલ અનસૂયા ગૌધામની મુલાકાત લીધી.
માણાવદર ખાતે અગાઉ નવા પ્રેસ તરીકે ઓળખાતી જીનિંગ ફેકટરીના પાયા ચંદુભાઈ શેઠે નાખેલા અને વરસો પહેલા આ ફેકટરી ધમધમતી, ત્યાર બાદ ફેકટરી બંધ થતાં આ ચંદુભાઈ શેઠના પુત્રો દ્વારા ગીરની ગાયોના સંવર્ધન માટે અનસૂયા ગૌધામ બનાવવામાં આવ્યું.
આ ગૌધામમાં હાલ 250 જેટલી ગીર ગાયોનું સંવર્ધન 50 જેટલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગીર ગાય મનુષ્યને દરેક રીતે ઉપયોગી છે. તેમાંથી મળતા દૂધ, ઘી, છાશ અને મળમૂત્ર પણ ખૂબ ઉપયોગી છે.

ઉપસ્થિત વિદ્યાર્થીઓને ગૌશાળાના ડોકટર, શ્રીમતી ગુલાબબેન, આચાર્યશ્રી કાઝી, વિજ્ઞાન શિક્ષક શ્રી પરાગભાઈ ભલાણી, સેવાભાવી શિક્ષકશ્રી સાવલિયા સાહેબ તેમજ સંચાલકશ્રી હરેશભાઈ શેઠ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં ગીર નસલની ગાયોની લાક્ષણિકતા, તેમના ફાયદા, પ્લાસ્ટિકથી થતું નુકશાન અને પશુપાલન વિષયો મુખ્ય હતા.
બાળકોએ સમગ્ર ગૌશાળાની મુલાકાત લઈ અત્રેની ગાયો, બુલ, અમેરિકન કબૂતરો, જાફરાબાદી
ભેંસ અને કાઠિયાવાડી ઘોડા નિહાળ્યા હતા.
સંચાલકશ્રી હરેશભાઇ દ્વારા બાળકો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ, પે સેન્ટર શાળા 2 માણાવદરના વિદ્યાર્થીઓને ‘અનસૂયા ગૌધામ’ની એક્સપોઝર વિઝીટ દ્વારા ઘણી બધી બાબતો જાણવા મળી હતી.
તસવીર અહેવાલ જીજ્ઞેશ પટેલ માણાવદર

