ગાંધીનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેવા ઉમદા ભાવ સાથે જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ શિહોલી મોટી ગામ ખાતે આવેલા પ્રાતનેમા પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી. તેમજ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણના સુવ્યવસ્થિત આયોજન કલેકટરે ખેડૂતો – અધિકારીઓ સાથે બેઠક યોજી સીધો સંવાદ કરી જરૃરી સૂચનો પણ કર્યા હતા.

ગાંધીનગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને જિલ્લો પ્રાકૃતિક ખેતીમાં અગ્રેસર બને તેવા ઉમદા ભાવથી જિલ્લા કલેકટર મેહુલ દવેએ શિહોલી મોટી ગામ ખાતે આવેલા પ્રાતનેમા પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીઘી હતી. આ મુલાકાત દરમ્યાન જિલ્લા કલેકટર મેહુલ દવેએ પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવી હતી.
જેમાં બીજામૃતથી બીજ સંસ્કરણ, જીવામૃત- ઘનજીવામૃત તૈયાર કરવા અને જમીનમાં આપવા, આચ્છાદન દ્વારા જમીનને કૃષિ અવશેષોથી ઢાંકવી અને વાપ્સાનું નિર્માણ, ભેજ અને હવાના પ્રમાણની જાળવણી જેવા અનેક પ્રાકૃતિક ખેતી માટે જરૂરી તબક્કાની રસપ્રદ માહિતી પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં આવેલા ખેડૂતો પાસેથી મેળવી હતી.

તેમણે અંતે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ કેન્દ્રની પણ મુલાકાત લીઘી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે વાર્તાલાપ કરવામાં કર્યો હતો. ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે સુવ્યવસ્થિત આયોજન કરવા માટે પણ ખેડૂતો અને અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત દરેક ગામમાં 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતાં થાય તે માટે આ ખેતી અંગેની સઘન તાલીમ આપવાનું સુચારું આયોજન આગામી સમયમાં કરવા માટે પણ અધિકારીઓને સૂચના આપી હતી.

જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં પ્રાતનેમા પ્રાકૃતિક કૃષિ ફાર્મના પ્રગતિશીલ ખેડૂત નરેન્દ્રભાઇ મંડીર દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેના પોતાના અનુભવો ખેડૂતો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. દેશી ગાય આધારિત આ ખેતી કરવાથી જળ- જમીન અને પર્યાવરણની રક્ષા ઉપરાંત ભવિષ્યમાં શું ફાયદા થાય છે, તેની પણ રસપ્રદ માહિતી આપી હતી. તેની સાથે કૃષિ ખાતાના અધિકારીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ અન્વયે જિલ્લામાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

