Gujarat

135 વર્ષ જૂના વોટસન મ્યુઝિયમને અદ્યતન બનાવાશે : 12 ઐતિહાસિક સ્મારકોના જીર્ણોધ્ધારનું અભિયાન

રાજય સરકારોના પ્રયાસોથી રાજકોટના ઐતિહાસિક સ્મારકોને પુન: સંરક્ષિત કરી જીવંત બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આજે પ્રવાસન મંત્રી મૂળુ બેરાની અધ્યક્ષતામાં રાજકોટની શાન સમાન ઐતિહાસિક 144 વર્ષ જૂના જામ ટાવરને પુન: સંરક્ષિત કરવામાં આવતા ફરી ઘંટનાદ ગૂંજી ઉઠ્યો હતો. આ સાથે જ જૂની સાંકળી ગામના સાંકળેશ્વર મહાદેવને પુનઃ સંરક્ષિત કરવામા આવ્યા હતા. આ તકે રાજકોટ શહેરના 135 વર્ષ જૂના વોટસન મ્યુઝિયમને અદ્યતન બનાવવાનો માટેનો સંકલ્પ લેવાયો હતો તો જિલ્લાના 12 ઐતિહાસિક સ્મારકોના જીર્ણોધ્ધારનું અભિયાન ચાલી રહ્યું હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતુ.

ઐતિહાસિક સ્મારકો સાંસ્કૃતિક ધરોહરના પ્રતીકો

રાજ્ય રક્ષિત સ્મારક અને પુનઃસંરક્ષિત કરાયેલા રાજકોટની શાન સમા જામટાવરનું રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ બેરા, મેયર નયનાબેન પેઢડિયા, સંસદ સભ્ય રામ મોકરીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહની ઉપસ્થિતિમાં જામટાવરને પુન: સંરક્ષિત કરાતા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય દર્શિતાબેન શાહે જણાવ્યુ હતું કે, જે વ્યક્તિ પોતાના ભૂતકાળને સાચવી નથી શકતો તે તેના ભવિષ્ય માટે કશું મેળવી નથી શકતો ત્યારે આપણા ઐતિહાસિક વારસાને સાચવવાનો સૌપ્રથમ પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો. વર્ષ 2008માં આ જામ ટાવરને પુનઃ સંરક્ષિત કરી લોકોને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ અર્પણ કર્યો હતો. આ ઐતિહાસિક વારસાને સાચવવાના વડાપ્રધાનના સ્વપ્નને બળ આપતું એક વધુ પગલું એટલે રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કુલ કે જે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું રાષ્ટ્રીય કક્ષાનું સ્મારક બન્યું છે. ઐતિહાસિક સ્મારકો સાંસ્કૃતિક ધરોહરના પ્રતીકો છે. આગામી સમયમાં રાજકોટના 135 વર્ષ જૂના વોટસન મ્યુઝિયમને પણ અદ્યતન બનાવી,ઇતિહાસને જીવંત કરનાર સ્થળ બનાવવામાં આવશે.

અન્ય સ્મારકોના કામ પણ પ્રગતિ હેઠળ

આ તકે રાજકોટના રાજવી માંધાતા સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વર્ષ 1880 મા જામ વિભાજી દ્વારા નિર્મિત ઐતિહાસિક સ્મારક એવા જામ ટાવર એ રાજકોટના ભવ્ય ભૂતકાળને પ્રતિપાદિત કરતું સ્મારક છે. આજે તેનું લોકાર્પણ થતાં આ ટાવરના ઘંટાઓના નાદ સાથે ભવ્ય ભૂતકાળનો નાદ પણ યુવા પેઢીને જાણવા મળશે. કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યુ હતુ કે, રાજકોટ જિલ્લામાં રાજ્યના પુરાતત્વ વિભાગ હેઠળના 11 ઐતિહાસિક સ્મારકો અને દેશના પુરાતત્વ વિભાગ હેઠળનુ 1 ઐતિહાસિક સ્મારક આવેલા છે. જેમનો જીર્ણોધ્ધાર કરીને વિકસાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાંથી જામ ટાવર તેમજ જૂની સાંકળી ગામનું સાંકળેશ્વર મહાદેવને પુનઃ સંરક્ષિત કરવાના કામો પૂર્ણ થયા છે તેમજ અન્ય સ્મારકોના કામ પણ પ્રગતિ હેઠળ છે.

જામટાવર ખાતે થયેલા દબાણને દૂર કરવામાં આવ્યું

આ સાથે જ જિલ્લામાં ઐતિહાસિક સ્મારકો તરીકે નોંધાયેલા ન હોય તેવા સ્મારકોને પણ સંબંધિત વિભાગો સાથે જોડી પુનરૂત્થાનનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ લોકાર્પણ પ્રસંગે પુરાતત્વ વિભાગ રાજકોટના અધિકારી સિધ્ધાબેન શાહે જણાવ્યું હતું કે, જામ ટાવર અને જૂની સાંકળીના સાંકળેશ્વર મહાદેવ મંદિર પર રૂ.40 લાખના ખર્ચે કેમિકલ ટ્રીટમેન્ટનું કાર્ય પૂર્ણ કરવામાં આવેલ છે તેમજ આગામી સમયમાં રૂ.2 કરોડ રૂપિયાના ખર્ચે બીજા પાંચ સ્મારકોનું પણ પુનઃ સંરક્ષણ કરવામાં આવશે. કલેકટર દ્વારા જામટાવર ખાતે થયેલા દબાણને દૂર કરવામાં આવ્યું છે અને આ ટાવરની ઘડિયાળ તથા ઘંટને આધુનિક ટેકનીક દ્વારા રીપેર કરવામાં આવેલ છે.

આ ટાવરની ઘડિયાળ તથા ઘંટને આધુનિક ટેકનીક દ્વારા રીપેર

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 1880મા જામનગર રાજ્યના શાસક જામ વિભાજી દ્વારા જામ ટાવર બનાવવામાં આવ્યો હતો. જેને બ્રિટિશ એજન્સી અને રાજકોટના લોકોને ભેટમાં આપવામાં આવ્યું હતું. જામટાવર એક ક્લોક ટાવર છે જેની ચાર બાજુઓ પર ઘડિયાળ છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને પુરાતત્ત્વ તથા સંગ્રહાલય નિયામકશ્રીની કચેરી દ્વારા રાજ્ય રક્ષિત સ્મારક “જામટાવર”નું વખતોવખત સમારકામ કરવામાં આવ્યું છે જયારે આજે આ રાજ્ય રક્ષિત સ્મારકનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યા બાદ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ તકે જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, અધિક નિવાસી કલેક્ટર ચેતન ગાંધી, ઈન્ટેક સંસ્થાના કન્વીનર રિધ્ધિ શાહ, વોટસન મ્યુઝિયમના ક્યુરેટર સંગીતાબેન રામાનુજ તથા રાજકોટના લોકો ઉપસ્થિત રહ્યા હતા.