Gujarat

૨૧ જુલાઈના રોજ INS બ્રહ્મપુત્રામાં લાગેલી આગ બાદ ગુમ થયેલા એક નાવિકનો મૃતદેહ મળી આવ્યો

૨૧ જુલાઈના રોજ ભારતીય નૌકાદળના બહુહેતુક યુદ્ધ જહાજ INS બ્રહ્મપુત્રામાં લાગેલી આગ બાદ ગુમ થયેલા એક નાવિકનો મૃતદેહ મળી આવ્યો છે. નેવીએ કહ્યું કે બુધવારે સઘન ડાઇવિંગ ઓપરેશન બાદ લીડિંગ સીમેન સિતેન્દ્ર સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. નેવીએ કહ્યું, નેવલ ચીફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી અને ભારતીય નૌકાદળના તમામ કર્મચારીઓ સિતેન્દ્ર સિંહના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. ભારતીય નૌકાદળ આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારની સાથે છે. તમને જણાવી દઈએ કે INS બ્રહ્મપુત્રામાં આગ લાગવાથી એક નાવિક લાપતા થઈ ગયો હતો, જેના માટે છેલ્લા કેટલાક દિવસોથી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું.

નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતે INS બ્રહ્મપુત્રાની ઘટના બાદ, નેવલ ચીફ એડમિરલ ૨૩ જુલાઈ ૨૪ ના રોજ મુંબઈની મુલાકાતે આવ્યા હતા. તેમણે અકસ્માત તરફ દોરી જતા ઘટનાક્રમ અને ગુમ થયેલા નાવિકને શોધવાના પ્રયાસોની સમીક્ષા કરી. નેવીએ કહ્યું કે, આ દરમિયાન એડમિરલ ત્રિપાઠીને INS બ્રહ્મપુત્રાને થયેલા નુકસાન અને સમારકામની યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે નિર્દેશ આપ્યો કે કમાન્ડ અને નેવલ હેડક્વાર્ટર દ્વારા INS બ્રહ્મપુત્રાને દરિયાઇ બનાવવા અને લડાઇ માટે તૈયાર કરવા માટે તમામ કાર્યવાહી તાત્કાલિક શરૂ કરવામાં આવે.

આ સમગ્ર ઘટના ની વાત કરીએ તો INS બ્રહ્મપુત્રામાં ૨૧ જુલાઈની સાંજે આગ લાગી હતી. મુંબઈના નેવલ બેઝ પર તેનું સમારકામ થઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. ૨૨ જુલાઈની સવાર સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે, આગની ઘટના પછી, યુદ્ધ જહાજ એક તરફ નમેલું હતું અને તમામ પ્રયાસો છતાં તેને સીધુ કરી શકાયું ન હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ INS ઘટનાની જાણકારી લીધી હતી.