વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણી નિમિત્તે નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત હાલ, રાજકોટ ઝોનની વિવિધ નગરપાલિકાઓમાં સઘન સ્વચ્છતા ચાલી રહી છે. આ સાથે ‘સ્વભાવ સ્વચ્છતા તથા સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે.

જેતપુર-નવાગઢમાં સિવિલ હોસ્પિટલમાં આજે સ્વચ્છતા સૈનિકો દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સઘન સ્વચ્છતા ઝુંબેશ યોજવામાં આવી હતી. જેમાં સિવિલ હોસ્પિટલમાં ખૂણેખુણાની સફાઈ કરવામાં આવી હતી અને સમગ્ર સિવિલ પરિસરને ચોખ્ખું ચણાક બનાવવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, ભારત સરકારનું ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ આગામી ૩૧મી ઓક્ટોબર સુધી ચાલનાર છે.

