National

પ્રધાનમંત્રીશ્રી મોદીએ કારગિલ વિજય દિવસ પર શ્રદ્ધાંજલિ આપી અને લદ્દાખમાં શ્રદ્ધાંજલિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

વડાપ્રધાન વ્યૂહાત્મક શિંકુન લા ટનલ પ્રોજેક્ટના પ્રથમ વિસ્ફોટના સાક્ષી બન્યાં

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લદ્દાખમાં ૨૫માં કારગિલ વિજય દિવસનાં પ્રસંગે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શ્રદ્ધાંજલિ સમરોહમાં પણ હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ ગૌરવ ગાથા સાંભળીઃ એનસીઓ દ્વારા કારગિલ યુદ્ધ પરની સંક્ષિપ્ત જાણકારી આપવામાં આવી તથા અમર સ્મારકઃ હટ ઓફ રિમેમ્બરન્સની મુલાકાત લીધી હતી. તેમણે વીર ભૂમિની પણ મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીએ આજે લદ્દાખમાં શિંકુન લા ટનલ પ્રોજેક્ટના પ્રથમ નિર્માણ કાર્યને પણ વચ્ર્યુઅલી જોયો. શિંકુન લા ટનલ પ્રોજેક્ટમાં ૪.૧ કિલોમીટર લાંબી ટ્‌વીન-ટ્યુબ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું નિર્માણ નિમુ-પદુમ-દારચા રોડ પર આશરે ૧૫,૮૦૦ ફૂટની ઊંચાઈએ કરવામાં આવશે, જેથી લેહને તમામ ઋતુમાં કનેક્ટિવિટી મળી શકે.

શ્રદ્ઘાંજલિ સમારંભને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લદ્દાખની ગૌરવશાળી ભૂમિ કારગિલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠની સાક્ષી છે. પીએમ મોદીએ કહ્યું કે, “કારગિલ વિજય દિવસ આપણને યાદ અપાવે છે કે દેશ માટે કરવામાં આવેલું બલિદાન અમર છે.” મહિનાઓ, વર્ષો, દાયકાઓ અને સદીઓ વીતી ગયા હોવા છતાં, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશની સરહદોની સુરક્ષા માટે બલિદાન થયેલા લોકોના જીવનને મિટાવી ન શકાય. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “દેશ હંમેશા આપણા સશસ્ત્ર દળોના પરાક્રમી મહાનાયકોના હંમેશા માટે ઋણી અને કૃતજ્ઞ રહેશે.”

કારગિલ યુદ્ધના દિવસોને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેઓ એ સમયે સૈનિકોની વચ્ચે હોવા માટે સૌભાગ્યશાળી હતા. તેમણે ઉમેર્યું હતું કે, તેમને આજે પણ યાદ છે કે કેવી રીતે આપણા સૈનિકોએ આટલી ઊંચાઈ પર મુશ્કેલ ઓપરેશન પાર પાડ્‌યું હતું. શ્રી મોદીએ કહ્યું હતું કે, “હું દેશનાં બહાદુર સપૂતોને સલામ કરું છું, જેમણે માતૃભૂમિની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.”

પ્રધાનમંત્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, “કારગિલમાં આપણે માત્ર યુદ્ધ જ જીત્યું નથી, પરંતુ ‘સત્ય, સંયમ અને શક્તિ’ નું અવિશ્વસનીય ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. પ્રધાનમંત્રીએ તે સમયે પાકિસ્તાનના કપટ પર પ્રકાશ પાડ્‌યો હતો જ્યારે ભારત શાંતિ જાળવવાના તમામ પ્રયાસો કરી રહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, “અસત્ય અને આતંકને સત્ય દ્વારા ઘૂંટણિયે પાડી દેવામાં આવ્યા હતા.”

પ્રધાનમંત્રીએ આતંકવાદની નિંદા કરતાં કહ્યું હતું કે, ભૂતકાળમાં પાકિસ્તાનને હંમેશા હારનો સામનો કરવો પડ્‌યો છે. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, “પાકિસ્તાને તેના ભૂતકાળમાંથી કશું જ શીખ્યું નથી અને પ્રસ્તુત રહેવા માટે આતંકવાદ અને પ્રોક્સી વોરની આડમાં યુદ્ધ કરવાનું ચાલુ રાખ્યું છે.” પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આતંકવાદીઓનાં નાપાક ઇરાદાઓ ક્યારેય પૂર્ણ નહીં થાય. તેમણે વધુમાં કહ્યું કે, “આપણાં બહાદુર લોકો તમામ આતંકવાદી પ્રયાસોને કચડી નાખશે.”

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “લદ્દાખ હોય કે જમ્મુ અને કાશ્મીર, ભારત વિકાસના માર્ગમાં આવતા તમામ પડકારોનો સામનો કરશે.” તેમણે યાદ અપાવ્યું હતું કે, હવેથી થોડા દિવસોમાં ૫ ઓગસ્ટનાં રોજ કલમ ૩૭૦ નાબૂદ થવાનાં પાંચ વર્ષ પૂર્ણ થશે અને આજનું જમ્મુ-કાશ્મીર સ્વપ્નોથી ભરેલા નવા ભવિષ્યની વાત કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ પ્રગતિનાં ઉદાહરણો ટાંક્યાં હતાં અને કેન્દ્રશાસિત પ્રદેશમાં જી-૨૦ બેઠકોનું આયોજન, માળખાગત વિકાસ અને પ્રવાસન પર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવું, સિનેમા હોલ ખોલવા અને સાડા ત્રણ દાયકા પછી શરૂ થયેલી તાજિયા જુલૂસનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “પૃથ્વી પરનું આ સ્વર્ગ ઝડપથી શાંતિ અને સમૃદ્ધિની દિશામાં આગળ વધી રહ્યું છે.”

લદાખમાં થઈ રહેલા વિકાસ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શિંકુન લા ટનલ મારફતે કેન્દ્રશાસિત પ્રદેશ આખું વર્ષ, દરેક સિઝનમાં સંપૂર્ણ દેશ સાથે જોડાયેલો રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ ટનલ લદ્દાખનાં વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે નવી સંભાવનાઓનાં દ્વાર ખોલશે.” પ્રધાનમંત્રીએ લદ્દાખનાં લોકોને અભિનંદન આપતાં કહ્યું હતું કે, આ ટનલ તેમનાં જીવનને વધારે સરળ બનાવશે, કારણ કે આ વિસ્તારમાં વિષમ હવામાનને કારણે તેમને પડતી અસંખ્ય મુશ્કેલીઓ હળવી થશે.

પ્રધાનમંત્રીએ લદ્દાખના લોકો પ્રત્યે સરકારની પ્રાથમિકતાઓ પર પ્રકાશ પાડ્‌યો હતો અને કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન ઇરાનમાંથી કારગિલ વિસ્તારમાંથી નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે વ્યક્તિગત પ્રયાસો હાથ ધરવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જેસલમેરમાં સ્થાપિત કરવામાં આવેલા ક્વોરેન્ટાઇન ઝોનને યાદ કર્યો, જ્યાં લદ્દાખ મોકલતા પહેલા તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. લદ્દાખનાં લોકોને જીવનની સરળતાને પ્રોત્સાહન આપવાનાં અને વધારે સેવાઓ પ્રદાન કરવા માટે સરકારનાં પ્રયાસો પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, છેલ્લાં પાંચ વર્ષમાં બજેટમાં અંદાજે છ ગણો વધારો થયો છે, જે ૧૧૦૦ કરોડ રૂપિયાથી વધીને ૬,૦૦૦ કરોડ રૂપિયાથી થયો છે. પ્રધાનમંત્રી મોદીએ પ્રથમ વખત સર્વગ્રાહી આયોજનના અમલીકરણ પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, “રસ્તાઓ હોય, વીજળી, પાણી, શિક્ષણ, વીજળી પુરવઠો, રોજગાર હોય, લદ્દાખની દરેક દિશા બદલાઈ રહી છે.” તેમણે જલ જીવન મિશન હેઠળ લદ્દાખનાં ઘરોમાં ૯૦ ટકાથી વધારે પ્રમાણમાં પીવાનાં પાણીને આવરી લેવાનાં ઉદાહરણો ટાંક્યાં હતાં, જે લદાખનાં યુવાનો માટે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ માટે આગામી સિંધુ સેન્ટ્રલ યુનિવસિર્ટી છે, સંપૂર્ણ લદ્દાખ વિસ્તારમાં ૪જી નેટવર્ક સ્થાપિત કરવા માટે કામ કરી રહ્યું છે તથા એનએચ ૧ પર તમામ ઋતુનાં જોડાણ માટે ૧૩ કિલોમીટર લાંબી જોજિલા ટનલ માટે ચાલી રહેલી કામગીરીનું ઉદાહરણ આપ્યું હતું.

સરહદી વિસ્તારો માટે મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, સરહદી માર્ગ સંગઠન (બીઆરઓ)એ સેલા ટનલ સહિત ૩૩૦થી વધારે પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે, જે નવા ભારતની ક્ષમતાઓ અને દિશા દર્શાવે છે.

સૈન્ય ટેકનોલોજીને અપગ્રેડ કરવાનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બદલાતાં વૈશ્વિક વાતાવરણમાં આપણાં સંરક્ષણ દળને આધુનિક કાર્યશૈલી અને વ્યવસ્થાની સાથે અત્યાધુનિક શસ્ત્રો અને ઉપકરણોની પણ જરૂર છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સંરક્ષણ ક્ષેત્રને ભૂતકાળમાં પણ અપગ્રેડ કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી, પણ કમનસીબે આ મુદ્દાને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું નહોતું. તેમણે ઉમેર્યું હતું કે, “જો કે, છેલ્લાં ૧૦ વર્ષમાં સંરક્ષણમાં સુધારાને પ્રાથમિકતા આપવામાં આવી છે, જે આપણાં દળોને વધારે સક્ષમ અને આર્ત્મનિભર બનાવે છે.” શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે ભારતીય સંરક્ષણ ઉદ્યોગને સંરક્ષણ ખરીદીમાં મોટો હિસ્સો આપવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સંરક્ષણ અને સંશોધન વિકાસ બજેટમાં ૨૫ ટકા હિસ્સો ખાનગી ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવ્યો છે. “આ પ્રયત્નોના પરિણામે, ભારતનું સંરક્ષણ ઉત્પાદન ૧.૫ લાખ કરોડને પાર કરી ગયું છે.” પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે ભારત શસ્ત્રોના નિકાસકાર

આભાર – નિહારીકા રવિયા તરીકે પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે, જે શસ્ત્રોની આયાત કરતા દેશની ભૂતકાળની છબીથી વિપરીત છે. શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરી હતી કે, અમારી સેનાએ હવે ૫૦૦૦થી વધારે શસ્ત્રો અને સૈન્યનાં સાધનોની આયાત બંધ કરવાનો ર્નિણય લીધો છે.

સંરક્ષણ ક્ષેત્રમાં સુધારા માટે સંરક્ષણ દળોની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ અગ્નિપથ યોજનાને મહત્ત્વપૂર્ણ સુધારામાંથી એક ગણાવી હતી. ભારતીય સેનાની સરેરાશ આયુ વૈશ્વિક આયુથી વધુ હોવાની લાંબા સમયથી જોવા મળતી ચિંતાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આ ગંભીર ચિંતાને પહોંચી વળવા માટે કોઈ ઇચ્છાશક્તિ નહોતી, જેને અત્યારે અગ્નિપથ યોજના મારફતે સંબોધિત કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અગ્નિપથનો હેતુ દળોને યુવાન રાખવાનો અને સતત યુદ્ધ માટે તૈયાર રહેવાનો છે.” પ્રધાનમંત્રીએ ભારપૂર્વક આ સંવેદનશીલ વિષયના ર્નિલજ્જ રાજકીયકરણ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે વાયુસેનાના કાફલાના આધુનિકીકરણ માટે ભૂતકાળના કૌભાંડો અને અનિચ્છાની નિંદા કરી. તેમણે કહ્યું, સત્ય એ છે કે અગ્નિપથ યોજનાથી દેશની તાકાત વધશે અને દેશને સક્ષમ યુવાનો પણ મળશે. અગ્નિવીરોને ખાનગી ક્ષેત્ર અને અર્ધલશ્કરી દળોમાં પણ પ્રાધાન્ય આપવાની જાહેરાતો કરવામાં આવી છે.”

અગ્નિપથ યોજના પાછળનું મુખ્ય કારણ પેન્શનના બોજને ઘટાડવાના ઇરાદા અંગેના પ્રચારને નકારી કાઢતાં પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે, આજે ભરતી કરવામાં આવતા સૈનિકોના પેન્શનનું ભારણ ૩૦ વર્ષ પછી આવશે, તેથી આ યોજના પાછળનું કારણ આ ન હોઈ શકે. તેમણે ઉમેર્યું હતું કે, “અમે સશસ્ત્ર દળો દ્વારા લેવામાં આવેલા આ ર્નિણયનું સન્માન કર્યું છે કારણ કે અમારા માટે રાજકારણ કરતાં દેશની સુરક્ષા વધુ મહત્વપૂર્ણ છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે દેશનાં યુવાનોને ગેરમાર્ગે દોરનારાઓને ભૂતકાળમાં સશસ્ત્ર દળો પ્રત્યે કોઈ દરકાર નહોતી. વન રેન્ક વન પેન્શન પર ભૂતકાળની સરકારોએ આપેલા ખોટાં વચનોને યાદ કરીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન સરકારે જ આ યોજનાનો અમલ કર્યો છે, જેમાં ભૂતપૂર્વ સૈનિકોને ૧.૨૫ લાખ કરોડ રૂપિયાથી વધારે રકમ આપવામાં આવી છે. તેમણે વધુમાં ભૂતકાળની સરકારોની ઉપેક્ષા તરફ ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે, “આ તે જ લોકો છે જેમણે આઝાદીના ૭ દાયકા પછી પણ શહીદો માટે યુદ્ધ સ્મારક બનાવ્યું ન હતું, સરહદ પર તૈનાત આપણા સૈનિકોને પૂરતા પ્રમાણમાં બુલેટપ્રૂફ જેકેટ પૂરા પાડ્‌યા ન હતા અને કારગિલ વિજય દિવસની અવગણના કરતા રહ્યા હતા.”

સંબોધનનું સમાપન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કારગિલની જીત કોઈ સરકાર કે કોઈ પણ પક્ષની જીત નહોતી. આ જીત દેશની છે, આ જીત દેશની ધરોહર છે. આ દેશના ગૌરવ અને સ્વાભિમાનનો તહેવાર છે.” તેમણે સમગ્ર દેશ વતી વીર જવાનોને નમન કર્યા હતા અને કારગિલ વિજયના ૨૫ વર્ષ નિમિત્તે તમામ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે લદ્દાખનાં લેફ્‌ટનન્ટ ગવર્નર બ્રિગેડિયર (ડૉ.) બી. ડી. શર્મા, કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી સંજય સેઠ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સશસ્ત્ર દળોનાં સેનાનાં પ્રમુખો ઉપસ્થિત રહ્યાં હતાં.