-: ચેરમેનશ્રી શીશપાલજી :-
– મનુષ્ય યોગના માધ્યમથી મનથી યોગી, તનથી નિરોગી, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને છે.
યોગ કોચ અને યોગ ટ્રેનર્સને પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કરાયું :
‘ડાયાબીટીસમુક્ત ગુજરાત પખવાડીયા’માં જોડાવા લોકોને અનુરોધ

મેયરશ્રી નયનાબેન પેઢડીયા, સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યશ્રીઓ ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળાની વિશેષ ઉપસ્થિતિ
ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેનશ્રી શીશપાલજીની અધ્યક્ષતામાં નૂતન વર્ષ નિમિત્તે યોગ પરિવારનો યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મેયરશ્રી નયનાબેન પેઢડીયા, સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યશ્રીઓ ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજીએ સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને ઐશ્વર્યની શુભેચ્છા અને નૂતન વર્ષના અભિનંદન પાઠવતાં ‘રામ, રામ’ના સંબોધન સાથે ઉદ્બોધન કર્યું હતું કે ગુજરાત સરકારના સહયોગથી વર્તમાનમાં ઘરે-ઘરે યોગ પહોંચાડવાનું લક્ષ્ય છે. મનુષ્ય યોગના માધ્યમથી મનથી યોગી, તનથી નિરોગી, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને છે. યોગ કરવાથી ઊર્જા, પ્રેમ, આનંદ મળે છે, દશા બદલાય છે, જીવન આધ્યાત્મિક જીવાય છે. ત્યારે આપણા દેશના નેતૃત્વની દોર જેમના હાથમાં છે, તેવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વયં યોગી છે, જે નાગરિકોનું સૌભાગ્ય છે.

તેમણે પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્વસ્થ જીવનના પાંચ પાઠ સમજાવ્યા હતા કે સૌથી પહેલો પાઠ સ્વાસ્થ્યનો છે, જેના માટે દૈનિક જીવનમાં યોગ માટે એક કલાક ફાળવવી જોઈએ. બીજો પાઠ છે પુરુષાર્થ, વ્યક્તિએ રોજ ૧૮ કલાક કામ કરવું જોઈએ. ત્રીજો પાઠ છે સેવા, માનવી માટે જીવમાત્રની સેવા કરવી એ પરમ ધર્મ છે. ચોથો પાઠ – આધ્યાત્મ, જીવન સાગર પાર કરવા આધ્યાત્મ જરૂરી છે, અષ્ટાંગ યોગ અને વિપશ્યના થકી આધ્યાત્મ કેળવી શકાય છે. તેમજ અંતિમ પાંચમો પાઠ સંગતનો છે, જેવી સંગત તેવું વ્યક્તિત્વ. વ્યક્તિના આંતરિક વિકાસ માટે સારા લોકોનો સંગ અગત્યનો ભાગ ભજવે છે. આમ, સ્વાસ્થ્ય, પુરુષાર્થ, સેવા, આધ્યાત્મ અને સંગત – આ પાંચ પાઠ માનવજીવનને ઉન્નતિના શિખર પર લઈ જવા સક્ષમ છે.

મેયરશ્રી નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે આજે ટેકનોલોજીના સમયમાં આપણે ભૌતિકવાદ પાછળ દોડી રહ્યાં છીએ. રહેણીકરણી અને શોખ લક્ઝરી બનતા લોકો ગંભીર રોગનો ભોગ બની રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં યોગ અંગે જનજાગૃતિ કેળવવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી થાય છે. ત્યારે આપણે આધ્યાત્મ માર્ગે આગળ વધવા યોગને માધ્યમ બનાવીએ. તેમજ ‘સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા:’ની ભાવના સાર્થક કરીએ.

સાંસદશ્રી રામભાઈ મોકરીયાએ નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે પ્રાચીન કાળથી ચાલી આવતી ઋષિમુનિઓની યોગ પરંપરાને આધુનિક યુગમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આગળ ધપાવી છે. જેથી, વિશ્વના મોટાભાગના દેશોએ યોગ સંસ્કૃતિને સ્વીકારી છે અને વિશ્વભરમાં ૨૧મી જૂને ‘વિશ્વ યોગ દિવસ’ ઉત્સાહભેર ઉજવાય છે. ત્યારે લોકોને યોગથી શિક્ષિત કરવા, દીક્ષિત કરવા અને પ્રભાવિત કરવા યોગ મુહિમમાં જોડાયેલા સાધકોને અભિનંદન પાઠવું છું.
ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહએ જણાવ્યું હતું કે નવા આનંદ, નવા ઉમંગ, નવી આશા, નવી જીત સાથે ગુજરાતી નૂતન વર્ષના આરંભે સ્વયંને સ્વયંના માધ્યમથી સ્વયંને ઓળખવા સૌ યોગ સાધનામાં જોડાઈએ. ‘મી’થી ‘વી’ સુધી, ‘સ્વ’થી ‘સમષ્ટિ’ સુધીની યાત્રા યોગ છે. ત્યારે ઈશ્વરને પામવા અને જાતને જાણવા યોગ કરવો જરૂરી છે.
ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાએ નિરોગી અને સુખ-શાંતિમય નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે શરીરમાં રોગ ન થાય, તેની પૂર્વતૈયારીરૂપે યોગાભ્યાસ આવશ્યક છે. યોગથી કોઈપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ થતી નથી. આથી, રોગને દૂર કરવા યોગનો સહારો લઈને કેન્દ્ર સરકારના દેશને નિરોગી બનાવવાના પ્રયત્નોમાં આપણે સૌ સહભાગી બનીએ, તેવો મારો અનુરોધ છે.

રામકૃષ્ણ આશ્રમના સ્વામીશ્રી નીખિલેશ્વરાનંદજીએ નવા વર્ષના શુભાશિષ પાઠવીને જણાવ્યું હતું કે શારીરિક આરોગ્ય અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી યોગાભ્યાસથી શક્ય બને છે. સ્વામી વિવેકાનંદે ચાર યોગ આપ્યા છે – રાજયોગ, ભક્તિયોગ, દાનયોગ અને કર્મ યોગ. જેનું આચરણ કરવાથી દૈનિક જીવનમાં શાંતિ મળે છે. સ્વામી વિવેકાનંદજીનું ‘ભારતને વિશ્વગુરુ બનાવવાના’ તેમજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ‘વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત બનાવવાના’ સપનાને સાકાર કરવા યોગ આધારસ્તંભ સમાન છે.

આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્ય અને ગણેશ સ્તુતિથી કરાયો હતો. મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છ અને શાલથી કરાયું હતું. સાધકોએ યોગ કૃતિ પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે યોગ કોચ, યોગ ટ્રેનર્સ અને વિશિષ્ટ પ્રદાન કરનારા યોગ સાધકોને પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કરાયું હતું. શ્રી શીશપાલજીએ તા. ૧૪ નવેમ્બરથી શરુ થનારા ‘ડાયાબીટીસમુક્ત ગુજરાત પખવાડીયા’ જાહેરાત કરીને અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. તેમજ તેમણે પ્રાસંગિક ઉદબોધન દરમિયાન ઉપસ્થિતોને યોગ, ધ્યાન અને પ્રાણાયામ કરાવ્યા હતાં. કાર્યક્રમમાં બે યોગ સાધકોએ યોગથી જીવનમાં આવેલા પરિવર્તન વિષે પ્રતિભાવ આપ્યા હતાં.
આ તકે આગેવાનશ્રી ભરતભાઈ બોઘરાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં અગ્રણીશ્રીઓ મનીષભાઈ રાડિયા, લીલુબેન જાદવ, યોગસેવકશ્રીઓ રમુભા જાડેજા, તપનભાઈ પંડ્યા, કો-ઓર્ડીનેટરશ્રીઓ વંદનાબેન રાજાણી, ગીતાબેન સોજિત્રા મીતાબેન તેરૈયા સહિત રાજકોટ, મોરબી, જુનાગઢ, અમરેલી, ભાવનગર સહીત સૌરષ્ટ્રભરમાંથી યોગ કોચ, શિક્ષકો, સાધકો, પતંજલિ, આર્ય સમાજ, સમર્પણ ધ્યાન અને બ્રહ્મકુમારી સંસ્થાના અગ્રણીઓ મળીને આશરે ૧૦૦૦થી વધુ યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

