Entertainment

અમદાવાદ પ્લેન ક્રેશ પર ભાવુક થઈ ભારતી સિંહ, કહ્યું- કામમાં મન જરાય પોરવાતું નથી

12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું, જેમાં 265 લોકો માર્યા ગયા હતા. આ દુર્ઘટના પર આખો દેશ શોક વ્યક્ત કરી રહ્યો છે. સામાન્ય લોકોથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ સુધી, બધાએ આ ઘટના પર પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે.

કોમેડી કલાકાર ભારતી સિંહે પણ આ દુર્ઘટના પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે- તે કોઈપણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી ‘લાફ્ટર શેફ્સ 2’ના એક એપિસોડનું શૂટિંગ કર્યા પછી, ભારતી પાપારાઝીને મળવા પહોંચી હતી, પરંતુ આ સમય દરમિયાન તે ખૂબ જ ભાવુક દેખાતી હતી. તેણે કહ્યું- ‘આજે મને પોઝ આપવાનું મન નથી થતું. ગઈકાલે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, મને ખૂબ ખરાબ લાગે છે.

હું પહેલાથી જ ફ્લાઇટ્સથી ડરતી હતી, હવે આ અકસ્માત પછી મને વધુ ડર લાગે છે. ગઈકાલે પણ હું પોડકાસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકી ન હતી અને આજે મને શૂટિંગ કરવાનું પણ મન નથી થઈ રહ્યું.’ જોકે, આ વીડિયો સામે આવ્યા પછી, કેટલાક લોકોએ ભારતીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી.

કેટલાક યુઝર્સે તેને ડ્રામા ક્વીન કહી, તો કેટલાકે તેને ટોણો મારતા લખ્યું, ‘તેને કંઈ કરવાનું મન નથી થઈ રહ્યું, છતાં તે એક પછી એક પોઝ આપી રહી છે.’ જ્યારે ઘણા લોકોએ ભારતીને પણ ટેકો આપ્યો.