Gujarat

વડોદરાના ખાસવાડી સ્મશાનમાં મહિલાઓ માટે શૌચાલય તેમજ બાથરૂમની વ્યવસ્થા કરવા માગ

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી સ્મશાન CSR ફંડ હેઠળ નવું બનાવવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા આ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

પરંતુ, મહિલાઓ માટે શૌચાલય અને બાથરૂમની કોઇ સુવિધા નથી. ત્યારે આ સ્મશાનમાં મહિલાઓ માટે શૌચાલય અને બાથરૂમની વ્યવસ્થા કરવા વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી માગ કરી છે.

ખાસવાડી સ્મશાન મહારાષ્ટ્રીયન સમાજની અંતિમક્રિયા માટે જાણીતું વડોદરા કોર્પોરેશનના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ( ભથ્થુ ), કાઉન્સિલર અમીબેન રાવત, બાળુ સુર્વે અને પુષ્પાબેન વાઘેલાએ સંયુક્ત મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને ખાસવાડી સ્મશાનમાં મહિલાઓ માટે શૌચાલય અને બાથરૂમની વ્યવસ્થા કરવા પત્ર લખ્યો છે.

પત્રમાં જણાવ્યું છે કે, શહેરનું ખાસવાડી સ્મશાન એ ખાસ કરીને મહારાષ્ટ્રીયન સમાજના લોકો માટે અંતિમક્રિયા કરવા માટે જાણીતું છે. મહારાષ્ટ્રીયન સમાજમાં કોઇપણ વ્યકિત નિધન પામે ત્યારે વધારેમાં વઘારે આ ખાસવાડી સ્મશાનની અંદર પૂજા-અર્ચના કરવા માટે આવે છે અને ત્યાં સમાજ ભેગો થાય છે.

કોન્ટ્રાકટ પદ્ધતિથી સમાજનું માન સન્માન જળવાતું નથી પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ, કોંગ્રેસના સમયથી સ્મશાનમાં આ વ્યવસ્થા જાળવી રાખી હતી અને એના પછી જયારથી સત્તાધારી પક્ષ સત્તા પર બેઠા ત્યારથી અને ખાસ કરીને અત્યારે જે કોન્ટ્રાકટ પદ્ધતિ લાવ્યા છે તેમાં સમાજનું માન સન્માન જળવાતું નથી. આ સમાજનું શહેર ઉપર ઋણ છે અને બલિદાનનો ઇતિહાસ છે.

વડોદરા શહેર એ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની નગરી તરીકે ઓળખાતું હોય ત્યારે એ સમાજની ધાર્મિક વિધિ માટે વિઘ્ન ઉભા થાય છે તેવુ નરી આંખે દેખાય છે. પાંચ દિવસ પહેલા સમાજના લોકો રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે શૌચાલય અને બાથરૂમ બનાવવાની ખાતરી આપી હતી.