છોટાઉદેપુર જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક કાર્યકર, શૈક્ષણિક સંસ્થાઓના વડા, બાર એસોસિએશનના પ્રતિનિધિઓએ યુસીસીની અમલવારી સંદર્ભે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા
વેબ પોર્ટલ, મેઇલ અને પોસ્ટના માધ્યમથી યુસીસી સંદર્ભે મંતવ્ય સૂચનો તા.૧૫ એપ્રિલ સુધીમાં રજૂ કરવા અનુરોધ
ભારતના બંધારણમાં ઉલ્લેખિત સમાન નાગરિક સંહિતાને લાગુ કરવા માટેના મૂલ્યાંકન માટેની સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય ગીતાબેન શ્રોફ અને શ્રી દક્ષેશ ઠાકરે દ્વારા છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે છોટાઉદેપુર જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, આદિવાસી સમાજના આગેવાનો, સામાજિક કાર્યકર, શૈક્ષણિક સંસ્થાઓના વડા, છોટાઉદેપુર જિલ્લાના બાર એસોસિએશનના પ્રતિનિધિઓ પાસેથી યુસીસી (Uniform Civil Code)ના અમલીકરણ માટેના સૂચનો પ્રતિભાવો મેળવવા માટેની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સમાન નાગરિક સંહિતા સમિતિના સભ્ય અને સામાજિક કાર્યકર શ્રીમતી ગીતાબેન શ્રોફે જણાવ્યું કે, યુસીસી સમિતિના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રીમતી રંજનાબેન દેસાઈની અધ્યક્ષતા હેઠળ આ સમિતિના સભ્ય દ્વારા યુસીસી સંદર્ભે જુદાં-જુદાં જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, ધાર્મિક સંસ્થાઓના વડા પ્રતિનિધિઓશ્રી, સામાજિક કાર્યકરો, સમાજના આગેવાનો પાસેથી તેમના સૂચનો- અભિપ્રાયો મેળવવામાં આવી રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સમાન સિવિલ કોડ વિશે ખ્યાલ ન હોય તેથી તે સંદર્ભે ઘણી ગેરસમજો પ્રવર્તે છે. કોઈ પણ ધર્મના રીતિ રિવાજો, સામાજિક પરંપરાઓ સાથે કોઈ દખલ કરવામાં આવશે નહિ. મુખ્યત્વે લગ્ન, છુટાછેડા, ભરણપોષણ અને લિવ ઇન રિલેશનશિપ જેવા વિષય પર પરામર્શ કરવામાં આવી રહ્યા છે. આ અન્વયે રજિસ્ટ્રેશન માટેની વ્યવસ્થા અને લિવ ઈન રિલેશનશિપના સામાજિક સંદર્ભ વિશે પણ વાત કરી હતી. યુસીસી સંદર્ભે પોતાના અભિપ્રાયો, મંતવ્ય અને સૂચનો પોર્ટલ અથવા પોસ્ટ મારફતે પુરાવા અને ડોક્યુમેન્ટ મોકલવા અનુરોધ કાર્યો હતો.

આ બેઠકમાં છોટાઉદેપુર જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક કાર્યકર, શૈક્ષણિક સંસ્થાઓના વડા, છોટાઉદેપુર જિલ્લાના બાર એસોસિએશનના પ્રતિનિધિ સહિતના લોકોએ યુસીસી સંદર્ભે લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લિવ ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારોનું રક્ષણ વગેરેનો સમાવેશ થાય છે તે માટેના તેમના સૂચનો રજૂ કર્યા હતા.
રાજ્યનો કોઈપણ નાગરિક સમાન નાગરિક સંહિતા માટે વેબ-પોર્ટલ https://uccgujarat.in પર અથવા સમાન સિવિલ કોડ સમિતિ ઓફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં. ૧, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦-એ, ગાંધીનગર, પિન નં. ૩૮૨૦૧૦ પર પોતાના મંતવ્યો અને સૂચનો તા.૧૫ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં રજૂ કરી શકશે.
આ બેઠકમાં જિલ્લા કલેકટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા , નિવાસી અધિક કલેકટર શૈલેશ ગોકલાણી, નાયબ કલેકટર પ્રીતેશ પટેલ, વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

