Gujarat

જામનગર જિલ્લાના વિવિધ સ્થળે ટીબી કાર્યક્રમો યોજાયા

જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમો ચેલાની મોતીબેન ખીમજી રામજી માલદે હાઇસ્કુલ અને અલીયાબાડાની ANM FHW ટ્રેનીંગ સ્કુલ ખાતે ટીબી રોગ અંગે માર્ગદર્શન અને પ્રશ્નોત્તરીના આયોજન સાથે થયા હતા.

નિષ્ણાતો દ્વારા જણાવાયું હતું કે ક્ષય (ટીબી) એ માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થતો ચેપી રોગ છે, જે મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે અને હવા દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી કે જો કોઈ વ્યક્તિને બે અઠવાડિયા કે તેથી વધુ સમયથી ખાંસી, ગળફામાં લોહી, ભૂખ ન લાગવી, વજન ઘટવો અથવા સાંજના સમયે ઝીણો તાવ આવવો જેવા લક્ષણો જણાય, તો તુરંત નજીકના સરકારી દવાખાને તપાસ કરાવવી જોઈએ. અહીં ટીબીનું નિદાન અને સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

વધુમાં, સુપ્ત અને સક્રિય ટીબી વચ્ચેનો તફાવત સમજાવતા જણાવાયું હતું કે એચ.આય.વી.-એડ્સ, ડાયાબિટીસ, કુપોષણ અથવા કિડનીના રોગોથી પીડાતા અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ટીબી થવાનું જોખમ વધુ રહે છે. આ સાથે જ ધૂમ્રપાન અને માદક દ્રવ્યોના સેવનથી બચવા પણ અપીલ કરવામાં આવી હતી. સરકારની ‘નીક્ષય પોષણ યોજના’ હેઠળ દર્દીઓને મળતી સહાય વિશે પણ વિગતવાર માહિતી અપાઈ હતી.

આ સમગ્ર અભિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુરા પ્રસાદ અને જિલ્લા ક્ષય અધિકારી ડો. પી.કે. સિંઘના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. જેમાં જિલ્લા પી.પી.એમ. કોર્ડીનેટર ચિરાગ પરમારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમોમાં ડો. ધીરેન પીઠડીયા, સુપરવાઈઝર પંડ્યાભાઈ, ઈરફાન શેખ અને વિજયભાઈએ મહત્વની સેવાઓ આપી હતી.