Gujarat

પર્યાવરણ મંત્રીએ મહાપાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓ સાથે ચર્ચા કરી

જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જનું કાર્યાલયના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર મહાનગરપાલિકાના મીટીંગ હોલમાં મહાનગરપાલિકાના વિકાસ કાર્યો અનુસંધાને પદાધીકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં મંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગતની આંતરમાળખાકીય સુવિધા, શહેરી સડક યોજના, આઉટ ગ્રોથ એરિયા ગ્રાન્ટ, લોકભાગીદારી, આગવી ઓળખ, ફ્લાય ઓવરબ્રીજ, રેલ્વે ઓવરબ્રીજ, અમૃત યોજના, પી.એમ.ઈ.બસ સેવા અંતર્ગત જામનગર જિલ્લાને ફાળવવામાં આવેલ ગ્રાન્ટ અનુસંધાને લગત વિભાગના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી વિકાસ કાર્યો અનુસંધાને વિસ્તૃત ચર્ચા કરી હતી.

જામનગર સહિત રાજ્યના મહાનગરો, નગરોને ગ્રોથ હબની સાથે ગ્રીન હબ બનાવવા, શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન નિયમિત થાય તે સુનિશ્ચિત કરવા, સાફ-સફાઈ, લોકોની રજુઆતો ધ્યાને લઈને કામગીરી કરવા તેમજ હેરીટેજ સ્થળોના વિકાસ અંગે સુચારૂ આયોજન હાથ ધરવા મંત્રીએ લગત અધિકારીઓને સૂચન કર્યું હતું. આગામી દિવસોમાં શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું આયોજન થનાર છે તેને લઈને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.