સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થિનીએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે. ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. સ્કૂલમાં કરાયેલી સજાના કારણે વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી અને સ્કૂલે જવાનો ઈન્કાર કરતી હતી. તેના માતા-પિતા કામઅર્થે બહાર હતા, ત્યારે પોતાના ઘર પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
મૃતક વિદ્યાર્થિનીના પિતા રાજુ ખટીકે કહ્યું હતું કે, ઉત્તરાયણ પહેલા મારી દીકરીની પરીક્ષા હતી તો સ્કૂલે પરીક્ષા આપવા દીધી ન હતી. સ્કૂલમાં તેને ક્લાસની બહાર ઊભી રાખવામાં આવી હતી. ઘરે આવીને રડવા લાગી હતી. મેં ફોન કર્યો તો મને કહ્યું કે, તમારી ફી ભરવાની બાકી છે.
જેથી મેં આવતા મહિને ફી ભરવા માટે કહ્યું હતું. ત્યારબાદ દીકરી સ્કૂલે જવાની ના પાડતી હતી અને બાદમાં તેને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. સ્કૂલ વાળા છોકરાઓને ટોર્ચર કરે, કોઈની મજબૂરી હોય મોડું થાય.
મળતી માહિતી પ્રમાણે, મૂળ રાજસ્થાન અને સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી પ્રિયંકા નગર સોસાયટીમાં રાજુભાઈ ખટીક પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, બે દીકરી અને એક દીકરો છે. રાજુભાઈ રિક્ષા ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જે પૈકી મોટી દીકરી ભાવના ધોરણ આઠમાં ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. ઉત્તરાયણની રજા બાદ ભાવના સ્કૂલે જતા ફી ન ભરી હોવાથી ટોયલેટ પાસે ઊભી રાખવામાં આવતી હતી.