Gujarat

વાણંદ સોસાયટીમાં મોડીરાત્રે બે સિંહ આવી ચડતા વન વિભાગે જંગલમાં પાછા વાળ્યાં

​જુનાગઢ ગિરનારના જંગલ વિસ્તારની નજીક આવેલા રહેણાંક વિસ્તારોમાં સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓના આંટાફેરા વધી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં, ગિરનાર દરવાજા પાસે આવેલી વાણંદ સોસાયટીમાં મોડી રાત્રે એક સિંહ આવી ચડ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે.

​વીડિયોમાં જોઈ શકાય છે કે, બે સિંહ રહેણાંક વિસ્તારમાં શાંતિથી લટાર મારી રહ્યા છે, જે સંભવતઃ શિકારની શોધમાં જંગલ છોડીને આવ્યા હતાં. આ ઘટના બાદ તુરંત જ વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.

વન વિભાગના કર્મચારીઓએ બન્ને સિંહને સલામત રીતે જંગલ તરફ પાછા વાળવામાં સફળતા મેળવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ​સ્થાનિક વન્યજીવ નિષ્ણાતોના મતે, ચોમાસાની ઋતુમાં જંગલમાં જીવજંતુઓનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે વન્ય પ્રાણીઓને હેરાનગતિ થાય છે.

આ ઉપરાંત, વરસાદ અને ભેજવાળા વાતાવરણથી રાહત મેળવવા તેમજ સરળતાથી શિકારની શોધમાં સિંહો ઘણીવાર તેમના કુદરતી રહેઠાણથી બહાર નીકળીને રેવન્યુ અને રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ કરી જાય છે.